કરોડોની સ્કીમો મૂકનાર લોટસ ઔરા ગ્રુપના બિલ્ડર મનિષે 13 માળેથી પડતું કેમ મુક્યું..રહસ્ય ખૂલતું નથી

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
કરોડોની સ્કીમો મૂકનાર લોટસ ઔરા ગ્રુપના બિલ્ડર મનિષે 13 માળેથી પડતું કેમ મુક્યું..રહસ્ય ખૂલતું નથી 1 - image

વડોદરાઃ વડોદરામાં કરોડોની સ્કીમો મૂકનાર લૌટસ ઔરા ગુ્રપના ભાગીદાર મનિષ પટેલે ગઇકાલે સવારે ૧૩ માળેથી પડતું મૂકી આપઘાત કરવાના બનેલા બનાવનું રહસ્ય અકબંધ રહ્યું છે.

સેવાસી રોડ પર કબીર ફાર્મ પાછળ પાંચ એકર જમીનમાં લાભવેર બંગલામાં રહેતા  બિલ્ડર મનિષ પટેલ ગઇકાલે સવારે સાત વાગે નિત્ય ક્રમ મુજબ મેટ લઇને યોગા માટે નીકળ્યા હતા.પરંતુ તેઓ નજીકમાં બંધાઇ રહેલી રેડ કોલર કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચી ગયા હતા અને સત્ય નારાયણ પ્લોટ નજીક કાર પાર્ક કરી ૧૩ માળેથી પડતું મુક્યું હતું.

વોચમેને તેમનો મૃતદેહ જોતાં પોલીસને જાણ કરી હતી.પોલીસે ડ્રાઇવિંગ લાયસન્સ પરથી તેમની ઓળખ કરતાં મરનાર ૫૦ વર્ષીય મનિષ પટેલ વડોદરાના અગ્રણી બિલ્ડર પૈકીના એક હોવાની વિગતો ખૂલી હતી.

ડીસીપી જૂલી કોઠિયા,એસીપી અને લક્ષ્મીપુરાના લેડી પીઆઇએ ઉપરોક્ત બનાવ અંગે ફોરેન્સિક વિભાગની મદદ લઇ મૃતદેહનું ડોક્ટરોની પેનલ પાસે પોસ્ટમોર્ટમ કરાવતાં બિલ્ડરનું મોત ઉંચેથી પડવાથી થયું હોવાનું જણાઇ આવ્યું હતું.બિલ્ડરને કોઇ પણ જાતની અદાવત નહિં હોવાથી કે આપઘાત કરવા પાછળનું બીજું પણ કોઇ કારણ ખૂલ્યું નહિં હોવાથી પોલીસ માટે સમગ્ર બનાવ તપાસનો વિષય બન્યો છે.પોલીસે કહ્યું હતું કે,બિલ્ડરના પરિવારજનો આઘાતમાં હોવાથી તેમની લાંબી પૂછપરછ થઇ નથી.બિલ્ડરના મોબાઇલની કોલ્સ ડીટેલ મેળવી તપાસ કરવામાં આવશે. જ્યારે,ધંધાકીય માહિતી પણ મેળવવામાં આવનાર છે.

બિલ્ડરને કોઇ જ તકલીફ નહિં છતાં ડિપ્રેસનમાં રહેતા હતા

બિલ્ડર મનિષ પટેલના પુત્રની આગામી તા.૨૨મીએ સગાઇ થવાની હોવાથી પરિવારજનો ખૂશ હતા.

સગાઇનો પ્રસંગ યાદગાર રહે તે માટે મનિષ પટેલે સબંધીઓની મીટિંગ પણ બોલાવી હતી.તેમને આર્થિક રીતે પણ કોઇ તકલીફ નહતી.તેઓ નિયમિત યોગા પણ કરતા હતા પરંતુ તેમ છતાં ડિપ્રેસનમાં રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

બનાવની તપાસ કરતા લક્ષ્મીપુરાના લેડી પીઆઇ એમ ડી ચૌધરી એ કહ્યું હતું કે,ઉપરોક્ત  બનાવ આપઘાતનો હોવાનું તારણ નીકળ્યું છે.આમ છતાં પોલીસ તમામ  પાસા તપાસ કરી રહી છે.


Google NewsGoogle News