વલસાડથી અમદાવાદ જવા નીકળેલા ટેમ્પા ડ્રાઇવરની હત્યાનો ભેદ હજી અકબંધ
પોલીસે નિવેદનો લીધા પણ કોઇ સફળતા ના મળી
વડોદરા,વલસાડથી અમદાવાદ જવા માટે નીકળેલા ટેમ્પા ડ્રાઇવરની હત્યા કરી તેની લાશ શહેર નજીકના સુંદરપુરા ગામના બસ સ્ટેન્ડની પાછળ એરંડાના ખેતરમાં ફેંકી દીધી હતી. ૧૩ દિવસ પછી પણ હજી હત્યાનો ભેદ હજી ઉકલ્યો નથી.
યુ.પી.ના ગાજીપુર જિલ્લાના જમાનીયા તાલુકાના ભક્સીપુરબી ગામમાં રહેતો મેરાજખાન કમરૃજમા ખાન (ઉ.વ.૩૬) હાલમાં વલસાડમાં નિલકંઠ રોડ લાઇન્સના શેઠ પ્રશાંતભાઇ વાલજીભાઇ ભાનુશાલીની ત્યાં ડ્રાઇવિંગ કરે છે. મેરાજખાન ગત તા.૧૪ મી એ ટેમ્પો લઇને વલસાડથી સવારે સવા અગિયાર વાગ્યે માલ ભરીને અમદાવાદના બાવળા ખાતે જવા માટે નીકળ્યો હતો. દરમિયાન સુંદરપુરા બસ સ્ટેશનની પાછળના ભાગે એરંડાના ખેતરમાંથી મેરાજખાનની દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. લાશ પાંદડાના ઢગલા નીચે સંતાડેલી હતી. તેના માથાના ભાગે લોહી નીકળેલું હતું. બનાવ મકરપુરા પોલીસ સ્ટેશનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પરંતુ, હજીસુધી કોઇ કડી પોલીસના હાથે લાગી નથી.