સોની પરિવારને ૨૦ ટકા વ્યાજે રૃપિયા આપનાર વ્યાજખોરો ભૂગર્ભમાં
૪ ગ્રામ સાઇનાઇડ ૨૦ હજાર રૃપિયામાં લાવ્યો હતો
વડોદરા, તરસાલી સોની પરિવારના સામૂહિક આપઘાતના પ્રયાસના કેસમાં કડક ઉઘરાણી કરનાર વ્યાજખોરો પોલીસની તપાસ શરૃ થતા જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે તેઓ સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
તરસાલી નંદનવન સોસાયટીમાં રહેતા પરિવારના સામૂહિક આપઘાતના પ્રયાસમાં સયાજી હોસ્પિટલમાં દાખલ પિતાની તબિયત સુધરતા તેમણે મોંઢું ખોલ્યું હતું. ચેતન સોનીએ પોલીસને જણાવ્યું હતું કે, ઘર ખર્ચ અને ધંધા માટે ૨૦ ટકાના વ્યાજે લીધેલા રૃપિયા તેઓ સમયસર ચૂકવી નહીં શકતા વ્યાજખોરો દ્વારા કડક ઉઘરાણી શરૃ કરવામાં આવી હતી. તેના કારણે કંટાળીને પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં ત્રણ વ્યાજખોરો પૈકી બે વ્યાજખોરો મકરપુરા અને એક વ્યાજખોર વાઘોડિયા રોડનો છે. પોલીસ તેઓની શોધખોળ કરી રહી છે. પંરતુ, તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે એવી વિગતો જાણવા મળી છે કે, ચેતન સોની પોટેશિયમ ગોલ્ડ સાઇનાઇડ ૪ ગ્રામ જેટલું ૨૦ હજાર રૃપિયામાં લાવ્યો હતો.