ચાલુ રિક્ષાએ એટેક આવતા ડ્રાઇવરનું મોત થયું
ઘરેથી નીકળ્યા પછી તરત જ ઢળી પડતા સયાજીમાં સારવાર માટે લઇ જવાયો
વડોદરા,માંજલપુરના રિક્ષા ચાલકને અચાનક એટેક આવતા તે રિક્ષામાં જ ઢળી પડતા તેનું મોત નિપજ્યું હતું. જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માંજલપુર સોમનાથનગરમાં રહેતો ૩૫ વર્ષનો જગદીશ રમેશભાઇ પવાર રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. ગઇકાલે સાંજે તે ઘરેથી રિક્ષા લઇને નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં અચાનક તે ઢળી પડતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, રિક્ષા ચાલકને એટેક આવ્યો હતો. જોકે, મોતનું સાચું કારણ જાણવા માટે ડોક્ટરે વિશેરા તપાસ માટે મોકલી આપ્યા છે.