નિમેટા કેનાલ પર ભાણેજ સાથે ગયેલા મામાની લાશ મળી

પત્નીએ પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરીને હત્યા થઇ હોવાનું જણાવતા પોલીસ દોડી ગઇ

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
નિમેટા કેનાલ પર ભાણેજ સાથે ગયેલા મામાની લાશ મળી 1 - image

 વડોદરા,ભાણેજ સાથે નિમેટા કેનાલ પર ગયેલા શ્રમજીવીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા તેની પત્નીએ મર્ડરની આશંકા વ્યકત કરી છે. બાપોદ પોલીસે પી.એમ.  કરાવતા હાલના તબક્કે ઇજાના કોઇ નિશાન જણાતા નથી.  પરંતુ, વિશેરાનો  રિપોર્ટ આવ્યા પછી જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સયાજી ટાઉનશિપ રોડ મારૃતિ નગર વસાહતમાં રહેતો ૩૩ વર્ષનો શૈલેષ રણછોડભાઇ નાયક મજૂરી કામ કરે છે. આજે તે પોતાના ભાણેજ સાથે નિમેટા કેનાલ પર નહાવા માટે રિક્ષામાં ગયો હતો. ત્યારબાદ તેનો ભાણેજ રિક્ષા લઇને વર્ધી મારવા ગયો હતો. વર્ધી મારીને તે પરત આવ્યો ત્યારે શૈલેષ નાયક બેભાન હાલતમાં હતો. જેથી, ભાણેજ તેના મામાને રિક્ષામાં બેસાડીને મારૃતિ નગર લઇ આવ્યો હતો.

શૈલેષની પત્નીએ કંટ્રોલ રૃમમાં કોલ કરીને પતિનું મર્ડર થયું હોવાનો મેસેજ આપતા બાપોદ પોલીસ દોડતી થઇ ગઇ હતી. બાપોદ પોલીસે સ્થળ પર જઇને લાશને પી.એમ. માટે સયાજી  હોસ્પિટલમાં મોકલી આપી હતી. જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા થઇ હોવાના કોઇ પુરાવા મળ્યા નથી. જોકે, મૃતકના વિશેરા એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલી અપાયા  છે. તેનો રિપોર્ટ  આવ્યા  પછી મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.


Google NewsGoogle News