નોટિસ વગર ધરપકડ કેમ કરી તેવો સવાલ કોર્ટે પુછતા ક્રાઇમ બ્રાંચને પરસેવો પડી ગયો

મહિલા ધારાસભ્ય સામે આક્રોશ વ્યક્ત કરનાર વેપારીની ધરપકડમાં સુપ્રિમ કોર્ટના ચૂકાદાનું પાલન કરાયુ નથી, કોર્ટે વેપારીને જામીન મુક્ત કર્યા

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
નોટિસ વગર ધરપકડ કેમ કરી તેવો સવાલ કોર્ટે પુછતા ક્રાઇમ બ્રાંચને પરસેવો પડી ગયો 1 - image


વડોદરા : પૂરની  પરિસ્થિતિ સામે લડયા બાદ સ્થાનિક મહિલા ધારાસભ્ય સામે આક્રોશ વ્યક્ત કરનાર વેપારીની ધરપકડ બાદ કોર્ટે આજે તેઓને જામીન મુક્ત કર્યા હતા. જો કે પોલીસે રાજકીય હાથો બનીને વેપારી સામે કાર્યવાહી કરી હોવાનો આક્રોશ લોકોમા જોવા મળી રહ્યો છે.

પૂરમાં બરબાદ થયેલા વડોદરાના લોકોને હવે ભાજપના શાસનમાં વિરોધ વ્યક્ત કરવાની પણ સ્વતંત્રતા નથી. હરણી રોડ ઉપર સિલ્વર ઓક ફ્લેટમાં રહેતા ૪૫ વર્ષના વેપારી કુલદીપ ભટ્ટ અને તેનો પરિવાર પણ પૂરનો ભોગ બન્યા છે જેથી ગુસ્સામાં આવીને મીડિયામાં આપેલા એક ઇન્ટરવ્યુમાં આ વેપારીએ મહિલા ધારાસભ્ય સામે ગુસ્સો ઠાલવ્યો હતો. આ વાત શહેર ભાજપને ગમી નહી અને કુલદીપ ભટ્ટ સામે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવી. તેની ધરપકડ કરવામા આવી હતી. 

મહિલા ધારાસભ્ય સામે આક્રોશ વ્યક્ત કરનાર પૂર પિડિત વેપારીની ધરપકડ તો કરી નાખી પરંતુ કોર્ટમાં જવાબ આપવામાં ક્રાઇમ બ્રાંચને ફાંફા પડી ગયા

વડોદરા ભાજપના આ કૃત્યથી લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. બીજી તરફ વેપારીએ પોતાની સામેની ફરિયાદ રાજકીય દબાણથી કરાઇ હોવાની રજૂઆત સાથે જામીન માગતા કોર્ટે વેપારીને જામીન મુક્ત કર્યા છે. વેપારી પક્ષે સિનિયર એડવોકેટ પ્રવીણ ઠક્કરે દલીલો કરી હતી કે પ્રથમ દ્રષ્ટિએ જ વેપારીએ કોઇ ગુનો કર્યો નથી છતા તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમ છતા પણ વેપારી સામે જે કલમો લગાવવામાં આવી છે તે ૩ વર્ષથી ઓછી સજાને ગુનાપાત્ર કલમો છે. સુપ્રિમકોર્ટના ચુકાદાઓ મુજબ ૭ વર્ષથી ઓછી સજાના કેસમાં આરોપીને પહેલા નોટિસ આપવી પડે. નોટિસની શરતોનું પાલન ના કરે તો ધરપકડ કરવી તેવો ચુકાદો છે. ઉપરાંત આ ગુનામાં પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી જવા જોઇએ તેના બદલે વેપારીને નોટિસ આપ્યા વગર જ ધરપકડ કરાઇ અને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપવાના બદલે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા. આશ્ચર્ય એ વાતનું છે કે સ્થાનિક પોલીસ સ્ટેશનના બદલે ક્રાઇમ બ્રાંચે વેપારી સામે ગુનો નોંધ્યો. જે બતાવે છે કે આ ફરિયાદ રાજકીય દબાણના કારણે જ થઇ છે. એડવોકેટની આ દલીલો બાદ કોર્ટે ક્રાઇમ બ્રાંચને સીધો સવાલ કર્યો હતો કે નોટિસ વગર આરોપી કુલદીપ ભટ્ટની ધરપકડ કેમ કરવામાં આવી. કોર્ટના સવાલથી ક્રાઇમ બ્રાંચને પરસેવો પડી ગયો હતો અને ઉપસ્થિત અધિકારી કોઇ જવાબ આપી શક્યા ન હતા. કોર્ટે બન્ને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ કુલદીપ ભટ્ટને જામીન મુક્ત કર્યા હતા.

Google NewsGoogle News