ગાંધીનગરમાં હવે મચ્છરજન્ય ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ માથું ઉંચકશે

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
ગાંધીનગરમાં હવે મચ્છરજન્ય ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ માથું ઉંચકશે 1 - image


હાલનું વાદળછાયું વાતાવરણ મચ્છરો માટે ફેવરીટ

વરસાદી પાણી ભરાઇ રહેવાને કારણે ઉત્પન્ન થયેલા મચ્છરો એડલ્ટ થઇને બિમારી ફેલાવી શકે તેવા સક્ષમ

ગાંધીનગર :  ગાંધીનગરમાં અગાઉ છુટો છવાયો વરસાદ પડી ગયો છે જેના કારણે આ વરસાદી પાણી ભરાવાને કારણે તેમાં મચ્છરોએ ઇંડા મુક્યા છે અને ઘણી જગ્યાએ પોરા પણ જોવા મળી રહ્યા છે ત્યારે હવે આ પોરામાંથી મચ્છર બની તે એડલ્ટ એટલે કે, રોગચાળો ફેલાવી શકે તેવા પુખ્ત પણ થઇ ગયા છે જેના કારણે હવે આગામી દિવસોમાં ડેન્ગ્યુ તથા મેલેરિયાના કેસ પ્રકાશમાં આવવા લાગશે. આવી સ્થિતિમાં તંત્રની સાથે નાગરિકોએ પણ પાણી ભરાઇ રહેતા પાત્રો અને સ્થળો ખાલી કરી તેની સફાઇ કરવી જરૃરી બની છે.

મચ્છરોની પ્રકૃતિ પ્રમાણે વરસાદી વાતાવરણાં મચ્છરો બ્રીડીંગ કરે છે અને તેના ૧૦થી ૧૫ દિવસમાં મચ્છરોના સેંકડો ઇંડામાંથી પોરા બને છે એટલુ જ નહીં, આટલા જ સમયગાળામાં મચ્છરો પુખ્ત બનીને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનીયા જેવા જીવલેણ રોગચાળો ફેલાવવા માટે સક્ષમ બની જાય છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પહેલા વરસાદ બાદ તબક્કાવાર ઝરમર છુટો છવાયો વરસાદ પડયો છે જેને ૧૫ દિવસનો સમય થઇ ગયો છે જેના પગલે હવે આગામી દિવસોમાં આ મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગના દર્દીઓમાં પણ વધારો થશે. એટલુ જ નહીં, વરસાદી પાણી ભરાઇ રહેતા વિસ્તારમાં તો રોગચાળો ફેલાવાની પણ દહેશત છે ત્યારે આગમી દિવસોમાં મચ્છરજન્ય રોગના દર્દીઓમાં વધારો થવાની આ દહેશતને ધ્યાને રાખીને ગાંધીનગર શહેર અને જિલ્લા મેલેરિયા વિભાગ સહિત સમગ્ર આરોગ્ય તંત્ર સજ્જ થઇ ગયું છે અને રોગચાળા માટે મહત્વની બાંધકામ સાઇટોને દંડવાની કાર્યવાહી પણ શરૃ કરી દીધી છે. ત્યારે દિવસે કરડતા અને ડેન્ગયુ જેવી બિમારી ફેલાવતા એડીસ ઇજીપ્તી જેવા મચ્છરોને ઉગતા ડામી દેવા માટે દરેક નાગરિકે પોતાના ઘરમાં તથા કામ કરવાના સ્થળની આસપાસ પાણી ભરાઇ ન રહે તેની કાળજી લેવી જોઇએ


Google NewsGoogle News