બંદોબસ્તમાં હાજર પોલીસ જવાનની બાઇક ચોરાઇ
ગણપતિ વિસર્જનના દિવસે ચોરાયેલી બાઇકની ફરિયાદ ૧૮ દિવસ પછી નોંધાઇ
વડોદરા,શહેરમાં વાહનચોરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. વાહનચોરોની હિંમત એટલી વધી ગઇ છે કે, પોલીસ જવાનની બાઇક ચોર લઇ ગયા હતા.
ડભોઇ રોડ સોમા તળાવ પાસે મહેશનગર સોસાયટીમાં રહેતા રમેશભાઇ મેલસીંગભાઇ બારિયા ટ્રાફિક શાખામાં એ.એસ.આઇ. તરીકે નોકરી કરે છે. ગત તા.૨૯ મી એ ગણપતિ વિસર્જનમાં તેઓની ડયૂટિ લાલબાગ બ્રિજ પર હતો. એ.એસ.આઇ. એ તેમની બાઇક લાલબાગ બ્રિજ નજીક આવેલી પાણીની ટાંકી પોલીસ ચોકી પાસે પાર્ક કરી હતી. સવારે છ વાગ્યે તેઓ નોકરી પૂરી કરીને બાઇક લેવા ગયા હતા. પરંતુ, તેઓની બાઇક મળી આવી નહતી. આટલા દિવસ સુધી તપાસ કરવા છતાંય બાઇક નહીં મળી આવતા તેમણે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.