વડોદરા: આસોજ ફીડર કેનાલ પર કોદરવાયા ખાતેનો 100 વર્ષ જૂનો બ્રિજ જર્જરીત બનતા નવો બનાવાશે

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
વડોદરા: આસોજ ફીડર કેનાલ પર કોદરવાયા ખાતેનો 100 વર્ષ જૂનો બ્રિજ જર્જરીત બનતા નવો બનાવાશે 1 - image


પુલના સ્ટ્રક્ચરમાં તિરાડો પડી હોવાથી જાનહાનિ થવા સંભવ 

નવા બ્રિજ અંગે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ થતાં વિપક્ષનો વિરોધ

કોઈ નિર્ણય લેતા પહેલા ત્રણ વર્ષ પહેલા કરેલી કામગીરી ચકાસવા માગણી

વડોદરા, તા. 24 નવેમ્બર 2023 શુક્રવાર 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ઐતિહાસિક પ્રતાપપુરા સરોવરથી આજવા સરોવર સુધી પાણી પહોચાડતી આસોજ ફીડર કેનાલ ઉપર કોદરવાયા ખાતે 2.34 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ થઈ છે .જેનો વિપક્ષ કોંગ્રેસે વિરોધ કર્યો છે. પ્રતાપપુરા સરોવર વર્ષ ૧૯૩૧ માં બનાવવામાં આવેલ છે. પ્રતાપપુરા સરોવર અને તેના કેચમેન્ટ વિસ્તારમાં પડતા વરસાદના પાણીને આજવા સરોવરમાં ડાયવર્ટ કરવા માટે પ્રતાપપુરા સરોવર થી આજવા સરોવર સુધી ૧૧ કી.મી. લાંબી ફીડર કેનાલ છે.આસોજ ફીડર કેનાલ ક્રોસ કરવા તેના ઉપર ત્રણ બ્રીજ  પૈકી કોદરવાયા ખાતે બ્રીજ અંદાજે ૯૦ થી ૧૦૦ વર્ષ પૂર્વે બનાવવામાં આવેલ છે. આ  આર્ક બ્રીક મેશનરી ટાઇપનો જૂનો બ્રીજ છે, પુલના સ્ટ્રકચર પર તિરાડો પડી છે, તથા જર્જરીત હોવાથી જાનહાનિ થવાનો સંભવ છે. ગેરી, ડેમ સેફ્ટી ઇંસ્પેકશન ટીમ દ્વારા પણ  બ્રીજ નવો બનાવવા  સૂચન કરેલ છે. દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસનું કહેવું છે , કોદરવાયા ખાતે આવેલ બ્રીજની મજબુતી વધે તે માટે  ૨૦૧૮ માં રબલ પીચીંગનું કામ કરાવવામાં આવેલ હતુ, પરંતુ  ૨૦૨૧ માં અભિપ્રાય આપ્યો કે, આ બ્રીજ ભયજનક છે . હવે બે વર્ષે ૨૦૨૩ માં આ બ્રીજ બનાવવાની ફાઇલ રજુ કરી તેનું કામ મંજુર કરવા દરખાસ્ત મૂકવામાં આવી છે.  એટલું જ નહીં ટેન્ડરમાં પ્રીક્વોલીફાય ક્રાઇટેરીયામાં પણ બદલાવ કર્યો છે. 

આર.સી.સી. બ્રીજ અને બોક્સ કલવર્ટ બનાવવાનો  અનુભવ હોય તેના બદલે ડ્રેનેજ, પાણી તથા અન્ય સીવીલ વર્ક કરેલ હોય તેવા પણ આ કામગીરી કરવા માટે ક્વોલીફાય થાય તેવો સુધારો કરવામા આવ્યો છે જે શંકા ઉપજાવે તેમ છે.જયારે પીચીંગનું કામ કરવામાં આવ્યું ત્યારે બ્રીજ જર્જરીત છે તેનો તંત્રને કેમ ખ્યાલ ના આવ્યો તે સવાલ છે . પુલ જર્જરિત હોવા અંગે વર્ષ ૨૦૨૧ માં સુચન મળ્યુ તો તેના કામ માટે ચાલુ વર્ષના બજેટમાં જોગવાઈ કેમ કરવામાં આવી નહીં  ? આ અગાઉ જે કામગીરી તેની ગુણવત્તા કેવી છે તે પણ ચકાસવી જોઈએ. આ દરખાસ્ત અંગે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાના બદલે કામની ચકાસણી કર્યા બાદ આગળ વધવા વિરોધ પક્ષે પત્ર લખી રજૂઆત કરી છે.


Google NewsGoogle News