રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નો અંગે શિક્ષકોનું આંદોલન
તા.૭ સુધીમાં પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આંદોલન વધુ ઉગ્ર થશે
વડોદરા,રાજ્યમાં તા.૨ ઓક્ટોબરથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોની જૂની પેન્શન યોજના સહિતના વિવિધ પ્રશ્નોને લઇને આંદોલન કરવામાં આવી રહ્યું છે. એક વર્ષ પહેલાં જૂની પેન્શન યોજના સહિત કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે સરકારે હકારાત્મક જવાબ આપ્યો હતો, પંરતુ આજ સુધી સરકાર દ્વારા તે પ્રશ્નો અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી.
જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા તેમજ અન્ય પ્રશ્નો બાબતે આજે ખંડેરાવ માર્કેટ સ્થિત મધ્યવર્તી શાળા ખાતે વડોદરા જિલ્લાના નવ સંવર્ગના તમામ શિક્ષકો એકત્રિત થઇને આંદોલનના મંડાણ કર્યા હતા, અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં નહિ આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની સામૂહિક પ્રતિજ્ઞાા લીધી હતી. રાષ્ટ્રીય સંયુક્ત મોરચો વડોદરાના સંયોજકના જણાવ્યા મુજબ જૂની પેન્શન યોજનાનો લાભ આપવો.
જ્ઞાાન સહાયક યોજનાને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવી, એચ ટાટ આચાર્યોની બદલીનો ઠરાવ તાત્કાલિક કરી અમલ કરવો, જિલ્લા ફેર શિક્ષકોને પેન્શન મૂળ જિલ્લા અને મહાનગરપાલિકા બંને એક જ જગ્યાએથી મંજૂર જ થાય, ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોને તથા મહાનગરપાલિકાના શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પેનો લાભ આપવો સહિતના મુદ્દે આંદોલન કરવામાં આવી રહ્યું છે. આંદોલન સરકાર ઠરાવ ન કરે ત્યાં સુધી ચાલશે. લોકસભા ચૂંટણી અગાઉ પ્રશ્ન સ્વીકારવામાં નહિ આવે તો ચૂંટણી બાદ પણ આંદોલન ચાલુ રહેશે. તા. ૭ ઓક્ટોબર સુધી પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો કાર્યક્રમો અપાશે.