'ભારતમાલા' પ્રોજેક્ટ માટે સંપાદનની પ્રક્રિયા હાથ નહીં ધરવા ઉગ્ર રજુઆત

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
'ભારતમાલા' પ્રોજેક્ટ માટે સંપાદનની પ્રક્રિયા હાથ નહીં ધરવા ઉગ્ર રજુઆત 1 - image


વાંધા સાંભળ્યા પણ કોઇ તંત્રએ જવાબો આપ્યા નથી ત્યારે

હાલ દરેક ખેતરમાં બટાટચણાસહિતના પાકો લહેરાઇ રહ્યા છે ત્યારે સર્વે કે સંપાદનની પ્રક્રિયા નહીં કરવા ખેડૂતોએ પોલીસ અને પ્રાંતને અવેદન આપ્યું

કલોલ :  ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના ૨૬ જેટલા ગામોમાંથી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રોડ નિકળવાનો છે. ત્યારે આ થરાદ-અમદાવાદ ગ્રીનકોરિડોર હાઇવે માટે ફળદ્રુપ જમીન ફાળવવા અંગે અગાઉથી જ ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે તેવી સ્થિતિમાં આગામી દિવસોમાં સંપાદન અને સર્વેની કામગીરી ખેતરમાં જઇને કરવામાં આવનાર હોવાને પગલે ખેડૂતોમાં ફરી રોષ જોવા મળી રહ્યો છે. એક બાજુ વાંધા અરજી સાંભળવાનો ડોળ કરીને કોઇ પણ પ્રકારનો જવાબ જવાબદાર તંત્ર દ્વારા આપવામાં આવતો નથી તેવી સ્થિતિમાં હાલ ખેતરોમાં પાક ઉભો છે ત્યારે પોલીસ પ્રોટેક્શન સાથે સંપાદનની પ્રક્રિયા હાથ ધરશે તો ખેતપાકનો વ્યાપક પ્રમાણમાં નુકશાન થશે જેના પગલે હાલની સ્થિતિમાં સંપાદનની પ્રક્રિયા કે સર્વે બંધ રાખવા માટે ખેડૂતોએ પ્રાંત કલોલ અને પોલીસ અધિકારી લેખિત અને મૌખિક ઉગ્ર રજુઆત કરી છે.

 ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અન્ય જિલ્લાઓમાં સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઇ ગઇ છે તેવી સ્થિતિમાં ગાંધીનગરમાં આ પ્રોજેક્ટ જે ફિઝીબીલીટી રિપોર્ટના આધારે આગળ વધી રહ્યો છે તે ફિઝીબીલીટી રિપોર્ટ જ ખોટો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવાની સાથે કલેક્ટર કચેરીથી લઇને કમલમ સુધી વિરોધનો વંટોળ ઉભો કરવામાં આવ્યો હતો. તે વખતે કમલમમાંથી ખેડૂતોને સમજાવી દેવામાં આવ્યા હતા અને વિરોધ સમી ગયો હતો ત્યારે આગામી દિવસોમાં સંપાદનની અને ખેતરમાં જઇને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય ફરી ખેડૂતોમાં રોષ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે. કલોલ અને માણસાના આઠ ગામના ખેડૂતોએ આ બાબતે આજે કલોલ પ્રાંત અધિકારીને લેખિત તથા મૌખિક રજુઆત કરી હતી અને હાલ આ પ્રક્રિયા મુલતવી રાખવા માટે માંગણી કરી હતી.

ખેડૂતોએ જણાવ્યું હતું કે, અગાઉ ખેડૂતોના વાંધા લેખિત અને મૌખિકમાં લેવામાં આવ્યા હતા પરંતુ તે અંગે કોઇ જ જવાબદાર તંત્ર દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી. કોઇ સર્વે નંબરમાં જમીન સંપાદન થયા બાદ ટૂકડો વધે છે તો ત્યાં ખેડૂત કઇ રીતે ખેતી કરે તે પ્રશ્ન મુખ્ય છે. આ ઉપરાંત હાલ ખેતરોમાં બટાટા, ચણા, તમાકું, એરંડા સહિતના પાક ઉભા છે અહીં સંપાદન અંગે માપણી કે સર્વેની કામગીરી કરવામાં આવશે તો ખેતપાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થશે જે ખેડૂતો કોઇ પણ સંજોગોમાં ચલાવી નહીં લે. જેના પગલે હાઇવે ઓથોરિટી દ્વારા હાલના સંજોગોમાં માપણી કે સંપાદનની પ્રક્રિયા હાથ ન ધરે તે માટે માંગણી કરવામાં આવી છે.


Google NewsGoogle News