વીધર્મી યુવકે શ્રી રામ માટે અભદ્ર કોમેન્ટ કરતા વડોદરાના નવાપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
વીધર્મી યુવકે શ્રી રામ માટે અભદ્ર કોમેન્ટ કરતા વડોદરાના નવાપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો 1 - image

વડોદરા,તા.23 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

ઇન્સ્ટાગ્રામ લાઈવ પર વિધર્મી યુવકે ભગવાન શ્રીરામ માટે અભદ્ર કોમેન્ટ કરતા નવાપુરા વિસ્તારમાં બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો. પોલીસ મથકની નજીક થયેલી પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન ધરવતા જતીન પટેલે દુકાન માંથી એસેસરીઝની ઓફર માટે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર લાઈવ કર્યું હતું. આ લાઈવમાં પાદરાના શાહિદ નામના યુવકે ભગવાન શ્રીરામ મામલે અભદ્ર કોમેન્ટ કરી હતી. જે કોમેન્ટના પડઘા શહેરના નવાપુરા વિસ્તારમાં પડયા હતા. નવાપુરા પોલીસ મથકની સામેના ભાગે ગત મોડી રાત્રે કૉમેન્ટની અદાવત રાખીને હિન્દૂ મુસ્લિમ ટોળાઓ સામસામે આવી ગયા હતા. અને ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પથ્થરમારામાં વાહનોનો તોડફોડ પણ થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

ઇન્સ્ટાગ્રામ કૉમેન્ટને કારણે સર્જાયેલી તંગદિલીમાં પોલીસે રાત્રે જ પાદરાના શાહિદ નામના યુવકની ધરપકડ કરી લીધી હતી. જ્યારે પોલીસ મથકની બહારના ભાગે પણ મોડી રાત્રે ટોળા એકત્રિત થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર ઘટનામાં DCP સહિતના અધિકારીઓએ સત્વરે મામલો સંભાળી લઈને સ્થિતિ કાબુમાં લઇ લીધી હતી.


Google NewsGoogle News