આગ્રાથી વડોદરા આવેલા મુસ્લિમ કારીગરોએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના ૫૧ ફૂટ ઉંચા પૂતળા તૈયાર કર્યા
પૂતળાં ઉભાં કરાયા બાદ તેમાં ફટાકડા ભરાવમાં આવે છે ઃ વડોદરામાં ત્રણ સ્થળે પૂતળાદહન થશે
વડોદરા, તા.18 વડોદરામાં રાવણ દહનનો દર વર્ષે કાર્યક્રમ યોજા છે અન ેઆ માટે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના ૫૧ ફૂટ ઉંચા પૂતળા બનાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
નવરાત્રિ શરૃ થાય તે પૂર્વે ૩૦ દિવસ અગાઉ આગ્રાથી મુસ્લિમ કારીગરોની ટીમ વડોરા આવી જાય છે. શરાફતભાઇના કહેવા મુજબ પૂતળા બનાવવાનું કામ અમારા દાદાના વખતથી ચાલે છે, એટલે કે આ કામ અમને વારસામાં મળ્યું છે. આ ત્રણેય પૂતળા બનાવવા અમારી સાથે ૩૦ કારીગરોની ટીમ છે.
પૂતળા બનાવવા માટે રંગીન કાગળ, વાંસ, કાથી, સૂતળી વગેરેનો ઉપયોગ કરાય છે અને ત્રણેય પૂતળા બનાવતા સહેજે દશેક દિવસનો સમય થાય છે. વડોદરામાં પોલોગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો જે કાર્યક્રમ થાય છે, તે માટેના પૂતળા હાલ બનાવીને મકરપુરા જીઆઇડીસી ખાતેના શેડમાં મૂકી દેવાયા છે.
આ ઉપરાંત વડોરામાં સનસિટિમાં અને માંજલપુર ખાતે પણ રાવણ દહન કાર્યક્રમ થવાનો છે અને તેના ૫૧ ફૂટ ઉંચા પૂતળા બનાવી દેવાયા છે. ગ્રાઉન્ડ ઉપર પૂતળા પહોંચાડીને ઉભા કરી દેવાયા બાદ તેમાં ફટાકડા ભરવાની કામગીરી કરવામાં આવે છે. ત્રણેય પૂતળા બનાવવા પાછળ આશરે અઢી ત્રણ લાખનો ખર્ચ થાય છે.