ભગવા પહેરીને સનાતન ધર્મનું અપમાન કરનાર સાધુ નિરંજનદાસે માફી માગી
હરિધામમાંથી છૂટા પડેલા પ્રબોધ સ્વામી જૂથના નિરંજનદાસ ને સત્સંગીઓએ ધ્યાન દોર્યુ ત્યારે ભાન થયુ કે ભુલ થઇ છે
વડોદરા : બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામી દ્વારા સ્થાપિત યોગી ડિવાઇન સોસાયટી-હરિધામ સોખડામાંથી છૂટા પડીને પોતાનું અલગ જૂથ રચનાર પ્રબોધ સ્વામી જૂથના સાધુ નિરંજન દાસે જશદણ ખાતે તા.૨૬મી ઓક્ટોબરે યોજાયેલી સત્સંગીઓની સભામાં જાહેરમાં સનાતન ધર્મનું અને સનાતન ધર્મના દેવતાઓનું અપમાન કરતા સનાતન ધર્મના આગેવાનો દ્વારા ત્વરિત પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. જેના કારણે સમય પારખીને નિરંજનદાસે એક વીડિયો મેસેજ દ્વારા માફી માગી લેતા હાલ પુરતુ આ પ્રકરણ શાંત થઇ ગયુ છે.
'આવેશમાં આવીને લાગણીવશ બોલાઇ ગયુ હોય તો માફી માગુ છું'
અહી સવાલ એ છે કે સાધુ નિરંજનદાસની ઉમર ૬૦થી વધુની લાગી રહી છે. સાધુનુ કામ સત્સંગીઓને સાચા રસ્તે વાળવાનું છે પરંતુ અહી સત્સંગીઓ સાધુનું ધ્યાન દોરી રહ્યા છે કે ગુરૃના વખાણ કરવાની હોડમાં તમે સનાતન ધર્મના દેવતાઓનું અપમાન કરી રહ્યા છો. ઉલ્લેખનીય છે કે ભગવાધારી નિરંજનદાસ સાધુએ સત્સંગીઓની સભામાં કહ્યું હતું કે ગુરૃહરિ પોતાના રૃમની બહાર નીકળે છે ત્યારે દેવતાઓ એંમના (ગુરૃના) દર્શન માટે ઝુરતા હોય અને એમના દર્શનથી આનંદ પુલકિત થઇને એમના ઉપર ચંદન પુષ્પોની વર્ષા કરતા હોય એવા દર્શન થાય છે. આ અગાઉ પ્રબોધસ્વામી જૂથના જ આનંદસાગર સ્વામીએ પણ શિવજીનું અપમાન કરીને માફી માગી હતી.