વડોદરા નજીક બરકાલ ગામે નર્મદાના પુરમાં મંદિર પર ફસાયેલા પૂજારી સહિત 12 લોકોનું આર્મી દ્વારા રેસ્ક્યુ
વડોદરા,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર
વડોદરા નજીક નર્મદાના પુરમાં ફસાયેલા પૂજારી સહિત 12 જણાને આખરે આર્મી દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.
નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે શિનોર તાલુકાના બરકાલ ગામે વ્યાસ બેટમાં એક મંદિર સુધી પાણી આવી ગયા હતા. જેને કારણે પૂજારી સહિત બાર જણા મંદિર પર ચડી ગયા હતા.
છેલ્લા 30 કલાકથી તમામને બચાવી લેવા માટે કલેકટર અને અન્ય વહીવટી અધિકારીઓ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા પરંતુ તેમને સફળતા મળતી ન હતી. વડોદરા ફાયર બ્રિગેડ પણ પાણીના પ્રવાહને કારણે કામ કરી શકી ન હતી.
આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા એર લિફ્ટ કરવા માટે અમદાવાદ અને દમણ ખાતેથી હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. પરંતુ ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર આવી શક્યું ન હતું. પૂરના પાણી સતત વધી રહ્યા હોવાથી 12 જણાની જિંદગી જોખમમાં મુકાઈ હતી.
આખરે આજે આર્મીની મદદ લેવામાં આવી હતી અને હેવી બોટનો ઉપયોગ કરી તમામ બહાર જણાને સહી સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળતા ફસાયેલા લોકોના જીવમાં જીવ આવ્યો હતો અને તંત્ર એ પણ રાહત અનુભવી હતી.