રેશનિંગ દુકાનદારોને તંત્રે અડધી રાત્રે લાભાર્થીઓને ત્યાં દોડાવ્યા સરકારી પુરવઠો સમયસર ના મળ્યો પરંતુ થેલીઓ રાતોરાત મળી

એફસીઆઇ દ્વારા તા.૫થી ૯ સુધી થેલીઓ દુકાનોમાં આપ્યા બાદ રેશનકાર્ડધારકોને ઘેર જઇને પણ અપાઇ

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
રેશનિંગ દુકાનદારોને તંત્રે અડધી રાત્રે લાભાર્થીઓને ત્યાં દોડાવ્યા  સરકારી પુરવઠો સમયસર ના મળ્યો પરંતુ થેલીઓ રાતોરાત મળી 1 - image

વડોદરા, તા.12 ગરીબ લાભાર્થીઓને સમયસર અનાજનો પુરવઠો મળતો નથી અને લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યના લાખો લાભાર્થીઓને એફસીઆઇએ આપેલી થેલીઓ પુરવઠા વિભાગે ફરજિયાત પહોંચાડવાનો આદેશ છૂટતાં દિવસ-રાત એક કરીને રેશનિંગ દુકાનદારોએ સરકારનો આદેશ માનવો પડયો હતો. 

ઉલ્લેખનીય છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દરેક રાજ્યમાં કેસરી રંગની મફત અનાજ યોજનાની જાહેરાત કરતી બે ફૂટ બાય સવા ફૂટની એક પ્લાસ્ટિકની થેલી પહોંચાડવામાં આવી છે. આ થેલીમાં આશરે ૧૦ કિલો અનાજનો જથ્થો રહી શકે તેમ છે. આ થેલીઓ રાજ્યમાં પણ પહોંચાડવામાં આવી હતી. ચાલુ માસમાં તા.૫થી ૯ સુધીમાં સમગ્ર રાજ્યમાં આવેલી રેશનિંગ દુકાનો પર થેલીઓ પુરવઠા વિભાગ દ્વારા પહોંચાડી દેવામાં આવી હતી. આ થેલીઓમાં અનાજ ભરીને અથવા લાભાર્થીના ઘેર જઇને પણ ખાલી થેલી આપવાના આદેશ આપવામાં આવ્યા હતાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે રેશનિંગ દુકાનો પર થેલીઓ પહોંચી ગયા બાદ તેને તાત્કાલિક લાભાર્થીઓને પહોંચાડવાની છે તેવા પુરવઠા વિભાગના કડક આદેશના કારણે યુધ્ધના ધોરણે દુકાનદારોએ આ થેલીઓ રેશનકાર્ડધારકોને પહોંચાડવાનું શરૃ  કરી દીધું હતું અને તેની એન્ટ્રી ઓનલાઇન પણ કરવી પડી હતી. રાત્રે ૧૨ વાગે પણ લાભાર્થીના ઘેર જઇને થેલી પહોંચાડવાની સૂચનાને પગલે દુકાનદાર લાભાર્થીના ઘેર પહોંચી જતો હતો અને તેને થેલી આપી તેની ઓફલાઇન એન્ટ્રી કરતો હતો. 

આ થેલીઓના વિતરણ દરમિયાન રાત્રે ૧૦ વાગ્યા સુધી પણ રેશન દુકાનો ચાલુ રાખવી પડી હતી. એક અંદાજ મુજબ એફસીઆઇએ ગુજરાતમાં સાડા સાત લાખ જેટલી થેલીઓ આપી છે. આ થેલી પાછળ આશરે રૃા.૧૦ કરોડનો ખર્ચ થયો હોય તેવી ચર્ચા પણ દુકાનદારોમાં થવા લાગી છે.




Google NewsGoogle News