વડોદરાથી ચાલતા નીકળેલા રામભકતો અયોધ્યા પહોંચ્યા

ભગવાન શ્રીરામના દર્શન કરી ધન્યતા અનુભવી ૩૩ દિવસમાં ૧૩૦૦ કિમી પદયાત્રા કરી

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
વડોદરાથી ચાલતા નીકળેલા રામભકતો અયોધ્યા પહોંચ્યા 1 - image

વડોદરા,વડોદરાથી અયોધ્યા ચાલતા નીકળેલા રામ ભકત પદયાત્રીઓ આજે બપોરે ૧૨.૩૦ કલાકે અયોધ્યા પહોંચી ગયા છે અને ભગવાન શ્રી રામચંદ્રના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રામભકતો ગઇ તા.૧ જાન્યુઆરીની સવારે અયોધ્યા માટે ચાલતા જવા રવાના થયા હતા.

જેઓએ ૩૩ દિવસથી પદયાત્રા કરી ૧૩૦૦ કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા પહોંચ્યા છે. વડોદરાથી નીકળ્યા બાદ તેઓ ૨૧ દિવસે ૮૫૦ કિ.મી.નું અંતર કાપીને મધ્ય પ્રદેશ નીવાડી જિલ્લાના ઓરછા પહોંચ્યા હતા. ઓરછા છોટી અયોધ્યા તરીકે ઓળખાય છે. જયાં તેઓએ તા.૨૨ના રોજ શ્રી રામ પ્રભુ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. ગજાનન સાઇ સમર્થ પદયાત્રા સંઘ તરસાલીના નેજા હેઠળનીકળેલા આ રામ ભકતો રોજનું આશરે ૩૫ થી ૪૦ કિલોમીટર ચાલતા હતા. આ પદયાત્રામાં પંકજ બોરસે (પાટીલ), વિષ્ણુ પંચાલ, ખોડા તડવી અને વિજય તિવારી જોડાયા હતા.

 જો કે એક પદયાત્રી હરીશ સોલંકીને ઉજ્જૈન મહાકાલથી મક્ષી રોડ ૩૫ કિલોમીટરનું અંતર કાપતી વખતે ડાબા પગમાં ઘૂંટણમાં ગાદીની તકલીફ થતાં અધવચ્ચેથી વડોદરા પરત ફરવું પડયું હતું. આ ચારેય રામભકતો અયોધ્યાથી તા.૫ન રોજ પરત વડોદરા ટ્રેનમાં આવવા નીકળશે.


Google NewsGoogle News