નર્મદા ડેમમાંથી પાણી છોડાવાની શક્યતા : વડોદરા જિલ્લાના નદી કાંઠાના ગામોને સાવધ કરાયા
image : twitter
- ડભોઇ તાલુકાના ૩, શિનોર અને કરજણ તાલુકાના કુલ 22 ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ
વડોદરા,તા.16 સપ્ટેમ્બર 2023,શનિવાર
શનિવારે સવારે દસ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.65 મીટરે નોંધાઈ છે. માત્ર 2 કલાકમા સપાટીમાં 23 સે.મી.નો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
ડેમમાં પાણીની આવકમાં બે કલાક્મા 3,64,629 ક્યુસેકનો વધારો થયો છે. હાલમાં પાણીની આવક 5,31,000 ક્યુસેક છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ગ્રોસ સ્ટોરેજનો 90 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
હાલ ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ 8,512 એમસીએમ છે. બપોરે 12 કલાકથી 10 દરવાજા ખોલી પાણી છોડાઇ શકે છે.
શરૂઆતમાં 1.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ ત્યારબાદ દર કલાકે વધુ ગેટ ખોલી પાણી છોડવાની શકયતાઓના પગલે જિલ્લા કલેકટર અતુલ ગોરે વડોદરા જિલ્લાના નર્મદા નદી કાંઠા શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના ગામડાઓને સાવધ કરવા તાલુકા તંત્ર વાહકોને જણાવ્યું છે.
ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત 25 ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.