વડોદરામાં વિસર્જન યાત્રા આગળ ધપાવાના પ્રયાસ કરતા પોલીસ કોન્સ્ટેબલ પર લોકોનો હુમલો
- બનાવના 22 કલાક બાદ રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો
- દાંડિયા બજાર ચાર રસ્તા થી કૃત્રિમ તળાવ તરફ જતા ગણપતિની સવારીઓને આગળ ધપાવવાના પ્રયાસમાં બે પોલીસ કોન્સ્ટેબલ પર વિસર્જન યાત્રામાં સામેલ લોકોએ હુમલો કર્યો હતો જે અંગે બનાવના 22 કલાક બાદ પોલીસ ફરિયાદ નોંધ થઈ હતી
વડોદરા,તા.30 સપ્ટેમ્બર 2023,શનિવાર
રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગણેશ વિસર્જનના બંદોબસ્ત હતો તે દરમિયાન દાંડિયા બજાર થી નર્સિંગ હોમ ચાર રસ્તા સુધી અલગ અલગ મંડળોની ગણપતિની મૂર્તિઓ તથા મ્યુઝિક સિસ્ટમના વાહનો એકસાથે ભેગા થઈ જતા ટ્રાફિક થઈ ગયો હતો. જેથી ACPએ રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સૂચના આપી હતી કે દાંડિયા બજાર રોડ થી નવલખી કૃત્રિમ તળાવ તરફ વિસર્જન માટે જતા ગણપતિની સવારીઓને આગળ ચલાવો જેથી પોલીસ કોન્સ્ટેબલ નિલેશ તથા નરેશભાઈ દાંડિયા બજાર ચાર રસ્તા થી ચાલીને આગળ ઊભેલી વડી વાડી યુવક મંડળના ગણપતિની સવારી પાસે રાત્રે 1:30 વાગ્યે પહોંચ્યા હતા. સવારીની આગળ મંડળના માણસો ડાન્સ કરતા હતા અને મ્યુઝિક સિસ્ટમ ઊભી રાખી દીધી હતી. જેના લીધે પાછળ ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયો હતો.
પોલીસ જવાનોએ મ્યુઝિક સિસ્ટમના વાહનને આગળ ચલાવવા માટે મંડળના માણસોને જણાવ્યું હતું કે વાહન ધીમે ધીમે આગળ જવા દો પાછળ ખૂબ જ ટ્રાફિકજામ થઈ ગયેલ છે. ટોળામાંથી એક વ્યક્તિ અચાનક ઉશ્કેરાઈ ગઈ હતી અને અમારી સાથે ઝઘડો કરવા લાગી હતી. પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈને તેઓએ ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા હતા અને તેમના હાથમાંથી લાકડી ખેંચી લીધી હતી. કોન્સ્ટેબલ નિલેશ નીચે પડી ગયેલા નરેશભાઈને ઊભા કરવા જતા હતા તે દરમિયાન લોકોએ ગાળો બોલે અમને કહેલ કે તું અમને આગળ ચલાવવા વાળો કોણ છે? તારું નામ શું છે? તેમ કહી પોલીસ જવાન નાખિસ્સા પર લગાવેલી નેમ પ્લેટ ખેંચીને તોડી નાખી હતી અને ધક્કો માર્યો હતો. દરમિયાન પીઆઈને જાણ કરતાં અન્ય સ્ટાફના માણસો આવી જતા પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.