વડોદરામાં કપૂરાઈ ટાંકી સુધી સિંધરોટથી પાણી પહોંચાડવાનું આયોજન

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
વડોદરામાં કપૂરાઈ ટાંકી સુધી સિંધરોટથી પાણી પહોંચાડવાનું આયોજન 1 - image


- સિંધરોટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી 100 એમ.એલ.ડી પાણી પહોંચાડવાની જરૂરિયાત ઊભી થતા ત્રણ પંપ સેટ ચલાવવા પડે છે 

- જરૂરિયાત વધતા 3.15 કરોડના ખર્ચે બે પંપ સેટની ખરીદી થશે

વડોદરા,તા.28 ડિસેમ્બર 2023,ગુરૂવાર

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારમાં કપૂરાઈ ટાંકી સુધી સિંધરોટ પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચાડવાનું આયોજન છે. આ વિસ્તાર પાણીની તકલીફ બીજા વિસ્તારોની સરખામણીએ વધુ ભોગવે છે. અવારનવાર આ વિસ્તારમાંથી પાણી પૂરતું અને પ્રેશરથી નહીં મળતું હોવાની બૂમ આવે છે. અગાઉ કપુરાઈ ટાંકી ખાતે પાણી પ્રશ્ન હલ્લાબોલ પણ કરવામાં આવ્યો હતો. જો કે કોર્પોરેશન દ્વારા કપૂરાઈ ખાતે 50 એમ.એલ.ડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સરદાર સરોવર નિગમની મેઇન કેનાલ થી કપુરાઈ સુધી ટ્રાન્સમિશન લાઈન નાખવાનું આયોજન પણ વિચારવામાં આવેલું છે.

દરમિયાન સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ થયેલી એક દરખાસ્તમાં જણાવ્યા અનુસાર પાણી પુરવઠા વિભાગ દ્વારા સિંધરોટ પાણી પુરવઠા યોજના અંતર્ગત મહિસાગર નદી ખાતે ઇન્ટેકવેલ તથા સંલગ્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવેલો છે. જેનું લોકાર્પણ વડાપ્રધાને તા.18/06/2022 ના રોજ કર્યું હતું. આ સ્થળે (1) સિંધરોટ ઇન્ટેકવેલ અને (2) સિંધરોટ વોટર ટ્રીટમેન્ટ ખાતે ત્રણ–ત્રણ એમ કુલ છ વર્ટીકલ ટર્બાઇન પંપસેટ બેસાડવામાં આવેલ છે. હાલમાં સિંધરોટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી દૈનિક 85 મિલીયન લીટર પાણી વડોદરા શહે૨નાં દક્ષિણ તથા પશ્ચિમ ઝોન ખાતેનાં વિસ્તારમાં મોકલવામાં આવે છે. સિંધરોટ પાણી પુરવઠા યોજના ખાતેનું પાણી કપુરાઈ ટાંકી સુધી પહોચાડવાનું પણ આયોજન છે.

આ આયોજન અંતર્ગત સિંધરોટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી દૈનિક આશરે 100 મિલીયન લીટર પણ વધુ પાણી વડોદરા શહેર ખાતે મોકલવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલ છે. આ સંજોગોમાં સિંધરોટ ઇન્ટેકવેલ અને વોટર ટ્રીટમેન્ટ ખાતે હાલમાં બેસાડવામાં આવેલ ત્રણેય પંપસેટ ચલાવવાની જરૂરિયાત રહે છે. જેને કારણે  બંને સ્થળ સિંધરોટ ઇન્ટેકવેલ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે એક પણ સ્પેર વર્ટીકલ ટર્બાઇન પંપ સેટ નથી. ભવિષ્યમાં પંપ સેટમાં કોઈ તકલીફ ઊભી થાય અને પાણી પુરવઠાને અસર ન પહોંચે તેને ધ્યાનમાં રાખીને  એક-એક વર્ટીકલ ટર્બાઇન સ્પેર પંપ સેટની ખરીદી કરીને કાર્ય૨ત ક૨વાની જરૂરિયાત છે. આ માટે બે વખત ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં અંદાજ કરતા 6.97 ટકા વધુ ભાવનું 3.15 કરોડનું ટેન્ડર સ્ટેન્ડિંગ સમિતિમાં મંજૂરી અર્થે રજૂ થયું છે. કામગીરીનો ખર્ચ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2023-24ની ગ્રાન્ટ હેઠળ કરવામાં આવશે.


Google NewsGoogle News