આજવા અને પ્રતાપપુરાના પાણી વિશ્વામિત્રીમાં ઠલવાતા 24 ગામના રહીશોને અસર, તંત્ર ખડે પગે

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
આજવા અને પ્રતાપપુરાના પાણી વિશ્વામિત્રીમાં ઠલવાતા 24 ગામના રહીશોને અસર, તંત્ર ખડે પગે 1 - image

image: File photo

Heavy Rain Vadodara : મેઘાએ વડોદરા અને તેની આસપાસના વિસ્તારને બુધવારે ધમરોળ્યા બાદ અને ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ ખાબકતાં આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવા તંત્રને ફરજ પડી હતી. આ ઉપરાંત પ્રતાપપુરાના પાળા તૂટેલા છે. જેથી તેમાંથી પાણી ઠલવાતા આસપાસના નીચાણવાળા 24 જેટલા ગામના રહીશોને ભારે અસર થઈ છે. કેટલીય જગ્યાએ રાહત, બચાવ અને ફૂડ પેકેટ પહોંચાડવાની અને અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા બજાવવાની ફરજ પડી હતી. આ અંગે તંત્ર સતત ખડે પગે તૈનાત રહ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે વર્ષાઋતુના પ્રારંભિક દિવસોમાં વડોદરા અને જિલ્લામાં વરસાદની ખૂબ જ ઘટ હતી. પરંતુ બુધવારે મેઘાએ વડોદરા શહેર જિલ્લાને ધમરોળતા અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજવા સરોવર, પ્રતાપપુરામાં પાણીની સપાટી ઝડપભેર વધી રહી હતી. પરિણામે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેથી વિશ્વામિત્રી નદીની સપાટી એકદમ ઝડપથી વધવા માંડી હતી અને ભયજનક સપાટીથી ત્રણ ફૂટ થી વધીને 29 ફૂટે વહેવા માંડી હતી. પરિણામે અનેક નીચાણવાળા વિસ્તારોમાં તથા આસપાસના ગામોમાં નદીના પાણી ફરી વળ્યા હતા.

જેમાં વડોદરાના સયાજીગંજ અને બાબાજીપુરાના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા હતા અનેક ઝુંપડામાં નદીના પાણી ફરી મળતા સ્થાનિક અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા. આવી જ રીતે વડોદરા ગ્રામ્યના દુમાડ, ગણપતપુરા ગામ, હરણી, સમા, અમલીયારા, સુકાલીપૂરા, દેણા, વિરોદ, કોટાલી, વેમાલી જેવા ગામોને વિશ્વામિત્રી નદીના પાણીને કારણે અસર થઈ છે.

આ ઉપરાંત વાઘોડિયાના જાફરપુરા, વેંકટપુરા, રસુલાબાદ ગામના રહીશોને આજવા સરોવરની પાણીની સપાટી ઝડપભેર વધી જવાથી અસર થવા પામી છે. જ્યારે બોરીદ્રા, પાંચ દેવલા, અભરાપુરા, આસોજ, જરોદ ગામને પ્રતાપપુરાની સપાટી વધવાથી અસર થઈ છે.


Google NewsGoogle News