પાણીગેટ રાણાવાસમાં ગેસ બોટલ ફાટતા પ્રચંડ ધડાકા સાથે આગ
પ્રંચડ ધડાકો થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા : કોઇ જાનહાનિ નહીં
વડોદરા,પાણીગેટ રાણાવાસના એક મકાનમાં આજે સવારે અગિયાર વાગ્યે ગેસ બોટલ ફાટતા પ્રંચડ ધડાકો થયો હતો.જો કે, મકાનમાં કોઇ હાજર નહી હોવાના કારણે જાનહાનિ થઇ નહતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોૅચી આગ બુઝાવી હતી.
ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાણીગેટ રાણા વાસમાં આવેલા એક જૂના મકાનમાં ગેસ બોટલ ફાટતા પ્રંચડ ધડાકો થયો હતો. જેના પગલે ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા સબ ફાયર ઓફિસર યુવરાજ ગઢવી તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તે દરમિયાન મકાન માલિક આવી જતા તેમણે જણાવ્યું હતું કે, ઘરમાં ત્રણ સિલીન્ડર હતા. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધી હતી. ઘરમાંથી બીજા બે બોટલ બહાર કાઢી લીધા હતા. મકાન માલિકે ફાયર બ્રિગેડને જણાવ્યું હતું કે, હું સવારે દીવો કરીને બહાર નીકળ્યો હતો. ત્યારબાદ સિલીન્ડર બ્લાસ્ટ થયો હતો. સદ્નસીબે ઘરમાં કોઇ હાજર નહીં હોવાના કારણે ઇજા થઇ નહતી. ઉલ્લેખનીય છે કે, મકાનના માલિક હસમુખભાઇ મણીલાલભાઇ ચુનાવાલા છે.