આણંદમાં જમીન પચાવી પાડવાના સાત કેસમાં પોલીસ ફરિયાદ નોંધવા આદેશ
લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં 83 કેસ ઉપર ચર્ચા કરાઇ
ભુમાફિયાઓ સામે સત્વરે પગલા ભરવા જે તે પોલીસ સ્ટેશનોને સુચના અપાઇ
આણંદ: આણંદ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં ૮૩ કેસ મુકવામાં આવ્યા હતા. જેમાંથી સાત કેસમાં પોલીસ ફરિયાદ નોંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
રાજ્યમાં જમીન-મકાન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે તે માટે લેન્ડ ગ્રેબિંગ પ્રો એક્ટ-૨૦૨૦ બનાવવામાં આવ્યો છે. આ એક્ટ અંતર્ગત આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની રચના કરવામાં આવી છે.
આ કમિટીની તાજેતરમાં યોજાયેલ બેઠકમાં જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ પ્રો એક્ટ અન્વયે આવેલ અરજીઓની ચર્ચા-વિચારણા કરી ચકાસણી કરવામાં આવી હતી.
આ બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ કમિટી પાસે રજુ થયેલ કુલ ૮૩ કેસ પૈકી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલ જિલ્લા લેન્ડ ગ્રેન્ડ કમિટિ દ્વારા કુલ ૭ કેસમાં પોઝીટીવ નિર્ણય કરી સંબંધિતો સામે કેસ કરવા નિર્ણય કરવામાં આવ્યોહતો. જે અન્વયે જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત વિવિધ ચકાસણી કર્યા બાદ ૭ કેસમાં પોલીસ એફઆઈઆર નોંધાવવા અને એફઆઈઆર નોંધાયા બાદ આ ૭ કેસમાં જિલ્લા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું હતું. નોંધનીય છે કે, લેન્ડ ગ્રેબિંગ પ્રો એક્ટ-૨૦૨૦ અંતર્ગત કોઈપણ વ્યક્તિ લેન્ડ ગ્રેબિંગ અંગે જરૂરી આધાર પુરાવા સહિત જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં તેમનો કેસ રજુ કરી શકે છે. આવા કેસમાં જરૂરી ચકાસણી કર્યા બાદ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવે છે.