માંજલપુર ઇવા મોલ પાસે પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની ના પાડતા મેનેજર પર હુમલો

પેટ્રોલપંપ પર જ માર મારી ધમકી આપી ઃ ચાર શખ્સોની ધરપકડ

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
માંજલપુર ઇવા મોલ પાસે પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની ના પાડતા મેનેજર પર હુમલો 1 - image

વડોદરા, તા.27 માંજલપુર વિસ્તારમાં આવેલા ખાનગી કંપનીના પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે આવેલી જીપના ચાલકને સિગારેટ પીવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાલક અને તેના સાગરીતોએ  પેટ્રોલપંપના મેનેજર પર હુમલો કરી માર માર્યો હતો.

દરબાર ચોકડી પાસે ત્રિવેણી કોમ્પ્લેક્સમાં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના હરવિજયસિંહ બળવંતસિંહ ગોહિલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઇવા મોલ પાસે નાયરા પેટ્રોલપંપ પર મેનેજર તરીકે નોકરી કરું છું. ગઇરાત્રે પેટ્રોલપંપ પર એક થાર જીપ લઇને હેમંત ઉર્ફે રાજ આવ્યો હતો અને તે સિગારેટ પીતો  હોવાથી મારી નજર પડતાં મેં તેને પેટ્રોલપંપ પર સિંગારેટ પીવાની ના પાડી હતી.

આ અંગે હેમંતે મારી સાથે ઝઘડો કરી ફોન કરીને અન્ય લોકોને બોલાવી પેટ્રોલપંપ પર જ મને માર મારી મારી નાંખવાની ધમકી આપી હતી જો કે પેટ્રોલપંપના અન્ય કર્મચારીઓએ મને બચાવી લીધો હતો. ઉપરોક્ત બનાવની ફરિયાદના પગલે માંજલપુર પોલીસે હુમલો કરનાર હેમંતગીરી ઉર્ફે રાજ સંતોષગીરી ગીરી (રહે.રાજમણી સોસાયટી, માણેજા ક્રોસિંગ પાસે), અભિષેક ગજરાજસિંહ રાજપુત (રહે.હનુમાનજી મંદિર પાસે, મુજમહુડાગામ), મહાવીર ઉર્ફે રામુભાઇ સૈન (રહે.લાભુબાનગર, વડસરગામ) અને રોશન રામચન્દ્ર કુસ્વાહ (રહે.વ્રજભૂમી સોસાયટી, વડસર)ની ધરપકડ કરી હતી.




Google NewsGoogle News