ઉનાવા અને વાસણગામમાંથી જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
ઉનાવા અને વાસણગામમાંથી જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા 1 - image


શ્રાવણ શરૃ થતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગાર ખીલ્યો

પેથાપુર પોલીસ બાતમીના આધારે દરોડો પાડીને ઝડપેલા જુગારીઓ સામે ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  જિલ્લામાં શ્રાવણ શરૃ થતાની સાથે જુગાર પણ શરૃ થઈ ગયો છે ત્યારે પેથાપુર પોલીસે ઉનાવા અને વાસણ ગામમાં દરોડો પાડીને જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી લીધા છે. જેમની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ઉનાવા ગામમાં રાવળવાસ ખાતે સુલેશ્વરી માતાના મંદિર સામે ઝાડની નીચે કેટલાક ઈસમો ભેગા થઈને તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા અહીં દરોડો પાડવામાં આવતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસ અહીંથી જુગાર રમતા ઉનાવા ગામના જીલુજી જવાનજી ઠાકોર, હાદક જયેશભાઈ મહેતા, મેલાભાઈ ચતુરભાઈ રાવળ, રોહિતસિંહ લક્ષ્મણસિંહ ડાભી, અશ્વિન રમણભાઈ પટેલ અને કલ્યાણસિંહ અરજણસિંહ ડાભીને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૪,૨૮૦ની રોકડ કબજે કરવામાં આવી હતી.તો બીજી બાજુ વાસણીયા ગ્રામ પંચાયતની સામે પણ જુગાર રમતો હોવાની બાતમીના આધારે પેથાપુર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને અહીં ચકી ફૂદીનો જુગાર રમતા અને રમાડતા વાસણ ગામના ગજેન્દ્રસિંહ નટવરસિંહ વાઘેલા, ચેતનસિંહ રણજીતસિંહ વાઘેલા અને નરેન્દ્રસિંહ છત્રસિંહ ચાવડાને પોલીસે ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૨,૬૨૭નો મુદ્દામાલ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો


Google NewsGoogle News