કપાળે તિલક હશે તો જ વડોદરાના વીએનએફ ગરબા મેદાનમાં પ્રવેશ મળશે
નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ : ભક્તો અનુષ્ઠાનમાં, ખેલૈયાઓ ગરબામાં વ્યસ્ત
વડોદરા : વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના આયોજક મંયક પટેલનું કહેવું છે કે નવરાત્રિ મહોત્સવ એ માત્ર ગરબા રમવા પૂરતો ઉત્સવ નથી, પરંતુ માતાજીની આરાધાનાનું પર્વ પણ છે. આ વાત નવી પેઢીને યાદ રહે અને સનાતન હિંદુ ધર્મના પ્રતીકો અને તેનું મહત્ત્વ સમજે તે માટે વીએનએફ- નવલખી ગરબા મેદાનમાં જે ખેલૈયાએ કપાળ પર તિલક કર્યું હશે તેને જ પ્રવેશ આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જે યુવક ઘરેથી નીકળતા તિલક કરવાનું ભૂલી ગયો હશે તેના માટે ગરબા મેદાનના પ્રવેશ દ્વાર ઉપર જ તિલકની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોની સાથે તિલક પણ અમે હવે ફરજિયાત બનાવી દીધું છે.
માતાજીના મંદિરોમાં વહેલી સવારથી મોડી રાત સુધી ભીડ જોવા મળી રવિવારની રજાના કારણે પ્રથમ દિવસે જ ગરબા મેદાનો પર ભીડ જામી
બરોડિયનોના સૌથી પ્રિય તહેવાર નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જ રવિવારની રજા હોવાથી ગરબા મેદાનો ઉપર અપેક્ષા કરતાં વધુ ભીડ જોવા મળી હતી.બીજી તરફ, માતાજીના મંદિરોમાં પણ આજે વહેલી સવારથી ભાડે ભીડના દ્રશ્યો સર્જાયા હતા, તો નવરાત્રિ મહોત્સવના સમયે જ ગુલાબના ફૂલોની કિંમતમાં પણ ૧૦ ગણો વધારો થતાં ભક્તોમાં રોષ જોવા મળતો હતો.
મા દુર્ગાના નવ સ્વરૃપોની આરાધનાના પર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. નવરાત્રિ ઉત્સવની ઉજવણી બે પ્રકારે થાય છે ઃ અનુષ્ઠાન અને મા શક્તિની આરાધના સ્વરૃપે તથા ઉત્સવના સ્વરૃપે. આરાધકોએ આજે સવારે શાસ્ત્રોક્ત મુહૂર્તમાં ઘટ સ્થાપન કરીને નવ દિવસના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો હતો, તો જે ભક્તો અનુષ્ઠાન નથી કરતા તેવા ભક્તોએ આજે પૂજા અર્ચના સાથે માતાજીની આરાધનાનો પ્રારંભ કર્યો હતો. ઘડિયાળી પોળમા આવેલા મા અંબાનું મંદિર, સમા રાંદલમાતા મંદિર સહિતના મંદિરોમાં સવારથી મોડી રાત સુધી આજે ભક્તોની ભીડ જોવા મળી હતી. માતાજીને ફૂલોના હાર અને ફૂલ અર્પણ કરવાનું મહત્ત્વ હોવાથી ઠેર ઠેર ફૂલોના પથારા પણ લાગી ગયા હતા. જો કે તહેવાર ટાણે જ ફૂલોના ભાવો આસામાને પહોંચતા ભક્તોમાં રોષ જોવા મળતો હતો. ખાસ કરીને ગુલાબના ફૂલો જે સામાન્ય દિવસોમાં રૃ.૪૦ના કિલો મળતા હતા તેનો ભાવ આજથી ૪૦૦ રૃપિયે કિલો થઇ ગયો છે.
બીજી તરફ, આજે સાંજ પડતા જ ગરબા મેદાનો રોશનીથી ઝળહળી ઉઠયા હતા. નવરાત્રિના પ્રથમ દિવસે જ રવિવારની રજાનો મેળ આવતા પ્રથમ દિવસે જ ગરબા મેદાનો પર ભીડનો માહોલ જોવા મળ્યો હતો. યુનાઇટેડ વે-કલાલી, વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ - નવલખી, મા શક્તિ ગરબા મહોત્સવ- સમતા, ખોડલધામ ગરબા-છાણી, રાજમહેલના ગરબા ઉપરાંત શેરી ગરબાઓમાં આજે ખેલૈયાઓએ જમાવટ કરી હતી.
શેરખી ગાયત્રી આશ્રમમાં અખંડ દિપક જ્યોત
વડોદરા નજીક શેરખી ગામે આવેલા ગાયત્રી આશ્રમમાં પવિત્ર આસો નવરાત્રિ મહોત્સવ નિમિત્તે આજથી '૧૧૦૦ અખંડ દિપક જ્યોત' અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે. દેશી ગાયના શુધ્ધ ઘીમાંથી પ્રગટાવેલા ૧૧૦૦ દિપક અખંડ નવ દિવસ સુધી પ્રજ્વલિત રહેશે. ગાયત્રી આશ્રમના પ.પૂ.શ્રી હર્ષદબાપાનું કહેવું છે કે સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં દિપકને સૂર્યનારાયણનું પ્રતિક માનવમાં આવે છે