વડોદરા જિલ્લામાં ૨૯૯૮૨ એકર વિસ્તારમાં થતી પ્રાકૃતિક ખેતી

જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની ઉપજનું ખેડૂતો દ્વારા દલાલી વિના સીધું જ વેચાણ

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
વડોદરા જિલ્લામાં ૨૯૯૮૨ એકર વિસ્તારમાં થતી પ્રાકૃતિક ખેતી 1 - image

વડોદરા, તા.૨૫ કૃષિ સંસ્કૃતિમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખુબ જ પ્રચલિત થઈ રહી છે. વડોદરા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં ૩૨,૧૬૯ કરતા વધુ ખેડૂતો ૨૯,૯૮૨ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. પ્રાકૃતિક કૃષિથી થતી ઉપજના વેચાણથી ખેડૂતોની આવક બમણી થઇ છે.

વડોદરા જિલ્લામાં વર્ષ ૨૦૨૧થી આજદિન સુધી કુલ ૧,૦૩,૧૫૬ ખેડૂતોએ તાલીમ મેળવી છે. જેમાં વર્ષ મુજબ ક્રમશઃ ૯૫૧, ૨૨૪૯૨, ૭૫૮૬૪ અને વર્ષ ૨૦૨૪માં જૂન સુધી ૩૮૪૯ ખેડૂતોએ તાલીમ મેળવી છે. તાલીમ મેળવ્યા બાદ અનેક ધરતીપુત્રોએ જમીનની ઉત્પાદકતા વધે તથા જંતુનાશક અને રાસાયણિક ખાતરમુક્ત ખેત પેદાશોને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવ્યો છે.

જિલ્લામાં અત્યારસુધી કુલ ૩૨,૧૬૯ ખેડૂતો ૨૯,૯૮૨ એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. તાલુકા પ્રમાણે  વાઘોડિયામાં ૪૧૨૫ ખેડૂતો, કરજણમાં ૫૬૬૧, સાવલીમાં ૪૪૮૦, પાદરામાં ૪૪૭૨, ડેસરમાં ૧૪૮૫, શિનોરમાં ૨૬૬૨, વડોદરામાં ૪૬૦૩ અને ડભોઇમાં ૪૬૮૧ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ કરવામાં આવી રહી  છે.

પર્યાવરણની જાળવણી અને સંવર્ધનને પ્રોત્સાહન આપતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થકી ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા, સારી માંગ અને યોગ્ય કિંમત મળતાં ખેડૂતોની આવકમાં વધારો થયો છે. 




Google NewsGoogle News