યુનિ.કેમ્પસમાં ત્રણ વિદ્યાર્થીઓએ નમાઝ પઢી, હાઈપાવર કમિટિ તપાસ કરશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા જાહેરમાં ભગવાનના મંદિરની સામે નમાઝ પઢવાની ઘટના બાદ યુનિવર્સિટીની સિક્યુરિટી ઉંઘતી ઝડપાઈ છે.હવે યુનિવર્સિટીના સત્તાધીશોએ રાબેતા મુજબ તપાસનો આદેશ આપ્યો છે અને હાઈ પાવર કમિટિ પણ આ મામલે વિદ્યાર્થીઓની પૂછપરછ કરશે તેવુ રટણ કર્યુ છે.
મળતી વિગતો પ્રમાણે સોમવારે કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હોવાનો વિડિયો વાયરલ થયો હતો.આ વિદ્યાર્થીઓ એફવાયબીકોમમાં ભણતા હોવાનુ પણ બહાર આવ્યુ હતુ.જોકે સૌથી વધારે ફજેતો યુનિવર્સિટીની સિક્યુરિટી અને વિજિલન્સનો થયો હતો.કારણકે તેઓ ઉંઘતા ઝડપાયા હતા.
અગાઉ પણ કેમ્પસમાં જાહેરમાં નમાઝ પઢવાની બે ઘટનાઓ બની ચુકી છે.જેની તપાસ પણ હાઈપાવર કમિટિને સોંપવામાં આવી હતી.જોકે કમિટિએ કે યુનિવર્સિટી સત્તાધીશોએ બંને મામલામાં કોઈ કાર્યવાહી કરી નહોતી.આમ છતા યુનિવર્સિટીના પીઆરઓએ હાઈ પાવર કમિટિ તપાસ કરશે તેવુ ગાણુ ગાયુ છે.બીજી તરફ વિજિલન્સ ઓફિસરને પણ આ મામલે તપાસ સોંપવામાં આવી છે અને તે રિપોર્ટ કમિટિને સુપરત કરશે તેવુ પણ જાણવા મળ્યુ છે.
દરમિયાન શિવસેનાએ આ મામલામાં આકરી પ્રતિક્રિયા આપી હતી.આજે તેમના પ્રવક્તા અને આગેવાને કહ્યુ હતુ કે, અગાઉ પણ આવી ઘટનાઓ બની ચુકી હોવા છતા રબર સ્ટેમ્પ બની ચુકેલા વાઈસ ચાર્ન્સલરે કાર્યવાહી કરી નથી.આવા લોકો પર એક્શન લેવાની જરુર છે.યુનિવર્સિટીએ તો પ્રવેશ આપતી વખતે જ વિદ્યાર્થીઓ પાસે બાંહેધરી પત્ર લેવુ જોઈએ કે, તેઓ કોઈ જાતની ધાર્મિક પ્રવૃત્તિ કેમ્પસમાં નહીં કરે અને જો કરશે તો તેમને રસ્ટિકેટ કરવામાં આવશે.