યુનિ.ના વીસી પ્રો. વિજય શ્રીવાસ્તવના ભૂતકાળના વિવાદોની તપાસ કરવા માંગ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.વિજય શ્રીવાસ્તવ સામે એકલા હાથે મોરચો માંડનારા યુનિવર્સિટીના જ વરિષ્ઠ અધ્યાપક પ્રો.સતિષ પાઠકે વધુ એક લેટર બોમ્બ ફોડયો છે.
તેમણે બીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને એક ખુલ્લો પત્ર લખ્યો છે.જેમાં તેમણે કહ્યુ છે કે, યુજીસીના ધારાધોરણ પ્રમાણે વાઈસ ચાન્સેલર તરીકે જે ઉમેદવારની નિમણૂંક થાય તેમની પાસે ૧૦ વર્ષનો પ્રોફેસર તરીકેનો અનુભવ હોવો જોઈએ.
પ્રો.પાઠકે સરકારના માહિતી આયોગ પાસેથી મળેલી જાણકારીને પત્રમાં પૂરાવા તરીકે જૂ કરીને કહ્યુ છે કે, પ્રો.શ્રીવાસ્તવે માત્ર ત્રણ વર્ષ સુધી પ્રોફેસર તરીકે ભરુચની કોલેજમાં, વડોદરાની જીએસએફસી યુનિવર્સિટીમાં અને ગાંધીનગરની કામધેનુ યુનિવર્સિટીમાં ફરજ બજાવી છે.એક વાઈસ ચાન્સેલરમાં યુનિવર્સિટીના સંચાલન માટેની ક્ષમતાનો અભાવ છે.તેમના આચરણના કારણે એમ.એસ.યુનિવર્સિટીની છાપ ખરડાઈ રહી છે.
પ્રો.પાઠકે ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, પ્રો.શ્રીવાસ્તવે અગાઉ ત્રણ સંસ્થાઓમાં ફરજ બજાવતી વખતે વિવાદ સર્જયો હતો જેના કારણે તેમને નોકરી છોડવી પડી હતી. જો તેની તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે.ગુજરાત સરકારના ત્રણ બ્યુરોક્રેટસના પ્રો.શ્રીવાસ્તવ પર ચાર હાથ હોવાનુ પણ કહેવાય છે.
પ્રો.પાઠકે પીએમ મોદીને અપીલ કરી છે કે, વડોદરાએ મને દીકરાની જેમ સાચવ્યો છે તેવુ તમે તાજેતરમાં વડોદરાની મુલાકાત વખતે કહ્યુ હતુ, તો વડોદરાની મહાન શૈક્ષણિક સંસ્થાને હવે તમે બચાવી લો...