વિદ્યાર્થીઓ સામે થયેલી FIR રદ કરવાની માંગ સાથે MSU બંધનો પ્રયાસ નિષ્ફળ : એલાન આપનાર કાર્યકરની અટકાયત

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થીઓ સામે થયેલી FIR રદ કરવાની માંગ સાથે MSU બંધનો પ્રયાસ નિષ્ફળ : એલાન આપનાર કાર્યકરની અટકાયત 1 - image


Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીમાં એડમિશન બાબતે શરૂ થયેલા આંદોલન ઉગ્ર બનતા 200 જેટલા વિદ્યાર્થીઓ સામે થયેલી એફઆઇઆર રદ કરવા બાબતે ફરી એકવાર આંદોલન ઉગ્ર બની રહ્યું છે ત્યારે એફઆઈઆર પાછી ખેંચી લેવાના મુદ્દે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા જાહેર કરાયેલી તાળાબંધી નિષ્ફળ રહી હતી. 

ઉલ્લેખનીય છે કે, એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે આંદોલન શરૂ થયું હતું. અંતે હાલમાં 58 ટકા માર્કસવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. હાલમાં પ્રવેશ પ્રક્રિયા કોમર્સ ફેકલ્ટીમાં ચાલી રહી છે. વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે અગાઉ થયેલા આંદોલન સંદર્ભે સયાજીગંજ પોલીસ દ્વારા 200 જેટલા વિદ્યાર્થીઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે વિવિધ વિદ્યાર્થી સંગઠનો ઉશ્કેરાયા હતા. જેમાં વડોદરાના ધારાસભ્યો સહિત સાંસદ પણ જોડાયા હતા. વિદ્યાર્થીઓ સામે થયેલી એફઆઇઆર રદ કરવાનું આંદોલન દિનપ્રતિદિન ઉગ્ર બની રહ્યું છે, ત્યારે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ નિલેશ વસઈકરે યુનિવર્સિટીમાં આજે તાળાબંધીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓના અન્ય કોઈ સંગઠનો જોડાયા ન હતા. યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ સહિત જેમની સામે એફઆઇઆર દાખલ થઈ છે તેવા વિદ્યાર્થીઓ માત્ર ઉપસ્થિત રહ્યા હતા. 

પ્રાથમિક તબક્કે આર્ટસ ફેકલ્ટી બંધ કરાવવાની હતી પરંતુ વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના પ્રમુખની અટકાયત સયાજીગંજ પોલીસે કરતા યુનિવર્સિટીને તાળાબંધીના કાર્યક્રમનો પ્યાસકો થયો હતો. જોકે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના કોઈ સંગઠનો જોડાયા ન હતા. આ ઉપરાંત કોઈ વિદ્યાર્થી નેતાઓ પણ જોડાયા ન હતા.


Google NewsGoogle News