ઉનાવામાં દિપો માતાજીના મંદિરમાંથી રૃપિયા 32 હજારની મત્તાની ચોરી
ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ
તસ્કરો ચાંદીના છત્તર અને રોકડ રકમ ચોરીને પલાયન થઈ ગયા : પેથાપુર પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી
પાટનગર ગાંધીનગર શહેરની સાથે આસપાસના વિસ્તારમાં તસ્કરો
સક્રિય થયા છે ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા
છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા ઉનાવા ગામમાં મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં
આવી છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઉનાવા ગામના
પ્રજાપતિ વાસમાં રહેતા અરવિંદભાઈ મફતભાઈ પ્રજાપતિના કૌટુંબિક ભાઈઓનું દિપો માતાનું
મંદિર પ્રાથમિક શાળા પાસે આવેલું છે. જેમાં અરવિંદભાઈ સેવા પૂજા કરે છે. ગત
મંગળવારના રોજ તેઓ મંદિરમાં ગયા ત્યારે માતાજીનો ફોટો ઝૂલા ઉપરથી ખસી ગયો હતો.
જેથી તેમણે શંકાના આધારે તપાસ કરતા મંદિરમાં દાનપેટીનો તાળું તૂટેલી હાલતમાં હતું
અને ગર્ભ ગૃહમાં માતાજીના ઉપર લગાવવામાં આવેલા ચાર જેટલા ચાંદીના છત્તર જોવા મળ્યા
ન હતા. જેથી તેમણે આ સંદર્ભે તેમના મોટાભાઈને જાણ કરી હતી અને ત્યારબાદ મંદિરમાં
લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં એક અજાણ્યો શખ્સ ચોરી કરતા જણાયો હતો.
જેથી આ અંગે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ૩૨ હજારની મત્તાની ચોરીનો
ગુનો દાખલ કરીને આ તસ્કરને પકડવા માટે મથામણ શરૃ કરી હતી.