ગેસચોરીના કૌભાંડમાં રૃા.૭૦ હજારની લાંચ લેતા કોન્સ્ટેબલનો સાથી ઝડપાયો

એસીબીની જરોદમાં ટ્રેપ ઃ ભરત જયસ્વાલ ઝડપાયો જ્યારે નિર્મલસિંહ નરેન્દ્રસિંહની ધરપકડ બાકી

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
ગેસચોરીના કૌભાંડમાં રૃા.૭૦ હજારની લાંચ લેતા કોન્સ્ટેબલનો સાથી ઝડપાયો 1 - image

વડોદરા, તા.2 વાઘોડિયા તાલુકાના જરોદ પાસે એલપીજી ટેન્કરમાંથી ગેસ ચોરીના ઝડપાયેલા કૌભાંડના કેસમાં આરોપી તરીકે નામ નહી દાખલ કરવા માટે જરોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ વતી લાંચની રૃા.૭૦ હજાર રકમ સ્વીકારતા ખાનગી શખ્સને લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોએ ઝડપી પાડયો હતો જ્યારે હેડ કોન્સ્ટેબલની ધરપકડ બાકી છે.

આ અંગેની વિગત એવી છે કે થોડા દિવસ પહેલાં જરોદ પાસેથી ગેસચોરીનું કૌભાંડ ઝડપાયું હતું. આ કૌભાંડમાં જરોદ પોલીસે રમેશ બિશ્નોઇ અને પિયુષ નામના શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી. પોલીસ તપાસમાં બંને આરોપીઓએ અગાઉ એક ગોડાઉન ભાડે રાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું જેથી જરોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહે ગોડાઉનના માલિકને બોલાવ્યો હતો અને તેની સામે પણ ગુનો દાખલ કરવા કહ્યું હતું.

ગોડાઉનના માલિકે એવો બચાવ કર્યો હતો કે મેં અગાઉ ગોડાઉન બંનેને ભાડેથી આપ્યું હતું પરંતુ બંનેએ ભાડાકરાર કર્યો નહી હોવાથી ગોડાઉન ખાલી કરાવ્યું હતું. પરંતુ ગોડાઉન માલિકની વાત નિર્મલસિંહે માની ન હતી અને તારુ આરોપી તરીકે નામ દાખલ નહી કરવા માટે રૃા.૫ લાખની માંગણી કરી હતી અને રકઝકના અંતે રૃા.૨.૫ લાખ આપવા તેમ નક્કી થયું હતું. આ રકમ પૈકી રૃા.૧.૮૦ લાખ અગાઉ નિર્મલસિંહે ખાનગી વ્યક્તિ ભરત જગદીશચન્દ્ર જયસ્વાલ (રહે.શીવનંદન સોસાયટી, રેફરલ હોસ્પિટલ સામે, જરોદ)ને ઓનલાઇન મોકલ્યા હતાં જ્યારે બાકીની રકમ રૃા.૭૦ હજાર રોકડ આપવાનું નક્કી થયું  હતું.

ગોડાઉન માલિક લાંચની રકમ આપવા માંગતો નહી હોવાથી તેણે નર્મદા ભવનના સાતમા માળે આવેલી એસીબી ઓફિસનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જેના પગલે મદદનીશ નિયામક પી.એચ. ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.એન. પ્રજાપતિ અને સ્ટાફના માણસોએ જરોદમાં  જરોદ રેફરલ હોસ્પિટલ સામે મલ્હાર ફેશન એન્ડ ટેલર દુકાનની સામે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ગોડાઉનના માલિકે ખાનગી વ્યક્તિ ભરત જયસ્વાલને લાંચની રકમ રૃા.૭૦ હજાર આપી હતી તે સાથે જ એસીબીએ ભરતને ઝડપી પાડયો હતો બાદમાં ભરતે નિર્મલસિંહ સાથે વાત કરી હતી કે પૈસા મળી ગયા છે. આ અંગે એસીબીએ નિર્મલસિંહ અને ભરત સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




Google NewsGoogle News