વડોદરા : આજવા સરોવરના 62 દરવાજાના મેન્ટેનન્સની કામગીરી પૂર્ણતાના આરે
- 62 દરવાજાના સ્ટીલના ગોળા બહાર કાઢી સફાઈ, કલર કામ, પાવડર કોટિંગ, લેવલીંગ, દરવાજાનું સેટિંગ વગેરે કામગીરી હાથ ધરાઈ
વડોદરા,તા. 26 મે 2022,ગુરૂવાર
આજવા સરોવરના 62 દરવાજાના ગેટના મેન્ટેનન્સ કરવાની કામગીરી પૂર્ણતાના આરે છે. દર વર્ષે ચોમાસા પૂર્વે કરવામાં આવતી મેન્ટેનન્સની મોટાભાગની કામગીરી થઈ ગઈ છે. 62 દરવાજાના ગોળા બહાર કાઢવા, લેવલીંગ કરવું, દરવાજા સેટીંગ કરવા, કલર કામ કરવું, ગ્રેફાઇટ પાવડર કોટિંગ કરવું વગેરે કાર્ય લગભગ થઇ ગયું છે. વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં ઐતિહાસિક આજવા સરોવર જ્યારે ઓવરફ્લો થાય છે, ત્યારે તેનું પાણી આ 62 દરવાજામાંથી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે. આજવા સરોવરના પાણી માટે સામાન્ય રીતે દરવાજાનું લેવલ 214 ફૂટે સેટ કરવામાં આવે છે. પરંતુ વરસાદ અને તંત્રની મળતી સૂચનાના આધારે લેવલમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. આ વખતે હજી લેવલ સેટ કરવાનું બાકી છે. આ તમામ દરવાજા એકદમ સરળતાથી ચાલે તે માટે ઓઇલિંગ કરવા ઉપરાંત તેની મજબૂત લોખંડની સાંકળ તેમજ પુલી વગેરેને કાટ લાગે નહીં તે માટે ગ્રેફાઇટ પાઉડર પણ ઘસવામાં આવે છે ,અને આ કામગીરી કર્મચારીઓ મેન્યુઅલી કરે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે 62 દરવાજાની ટેકનોલોજી ગાયકવાડી શાસન વખતની છે .62 દરવાજામાં લોખંડના ભારે ડ્રમ રાખવામાં આવેલા છે. આ લોખંડના ડ્રમમાં સ્ટીલના ગોળા રાખેલ છે. આ ગોળા ચેન સાથે ડેમના ગેટ સાથે જોડાયેલ છે .જ્યારે આ ડેમમાંથી પાણી વહે છે ત્યારે સ્ટીલના ગોળા ઊંચકાય છે અને ગેટ બંધ થાય છે. 62 દરવાજા વર્ષોથી આ રીતે કામ કરે છે 62 દરવાજામાંથી પાણી છોડવા માટે માત્ર એક વાલ્વ ખોલવાનો હોય છે અને બંધ કરવાનો હોય છે. 62 દરવાજાનું દર વર્ષે ચોમાસા પૂર્વે મેન્ટેનન્સ કરવું પડે છે, જેને લીધે ગેટ ખોલ બંધ સરળતાથી થઈ શકે. ગેટના હેવી ડ્રમ મેન્ટેનન્સના ભાગ રૂપે બહાર કાઢવા પડે છે. આ માટે ટ્રોલી પર ફીટ કરેલી 103 વર્ષ જૂની ક્રેન ઉપયોગમાં લેવાય છે. આજવા સરોવર બની ગયા બાદ થોડા વર્ષો પછી આ ક્રેન વસાવવામાં આવી હતી, ત્યારથી તે ઉપયોગમાં લેવાઇ રહી છે.