Get The App

વડોદરામાં પૂર પીડિતોના આંસુ લુછવાના બદલે સાહેબને ખુશ કરવા તંત્રની દોડધામ

રસ્તાઓ, દીવાલોની તકલાદી સુંદરતા માટે શાસકોએ આખુ શહેર બાનમાં લીધું

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
વડોદરામાં પૂર પીડિતોના આંસુ લુછવાના બદલે સાહેબને ખુશ કરવા તંત્રની દોડધામ 1 - image


વડોદરા : ટાટા અને એરબસ કંપની દ્વારા એરફોર્સ માટેના કાર્ગો પ્લેન બનાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. કાર્ગો પ્લેન જ્યાં તૈયાર થશે તે એરક્રાફટ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન માટે તા.૨૮મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ વડોદરા આવી રહ્યા છે. વડોદરાની દુર્દશા બન્ને વડાપ્રધાનોના નજરે પડી ના જાય તે માટે  વડોદરાને રાતોરાત સુંદર બનાવવા માટે તકલાદી ભેજાઓ કામે લાગ્યા છે. 

પીક અવર્સમાં રસ્તાઓ ઉપર આડશ મુકીને કરાતી કામગીરીના કારણે ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો, સેફ્ટી સાધનો વગર જ કામ કરતા મજૂરો

દિવસ રાત કોન્ટ્રાક્ટના કામોમાં જ વ્યસ્ત રહેતા શહેરના શાસકોને આજે વડોદરા આવેલ મુખ્યમંત્રીએ પણ ટકોર કરીને કહ્યં હતું કે માત્ર મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવે ત્યારે જ વડોદરાની સફાઇ કરવાનું કેમ સુઝે છે ? જો કે આવી ટકોરથી વડોદરાના નેતાઓને કોઇ ફરક પડતો નથી. સાહેબનો કાર્યક્રમ જ્યારથી જાહેર થયો છે ત્યારથી શાસકો વડોદરાના પૂર પીડિતોના આસું લુંછવાના બદલે સાહેબ જ્યાંથી પસાર થવાના છે તે રસ્તાઓને રીપેર કરવા, માર્ગની બન્ને બાજુની દિવાલોના રંગરોગાન કરવા, સારી ફૂટપાથોને તોડીને નવી બનાવવામાં, ડિવાઇડરોને રંગ રોગાન કરવામાં, ફુલછોડના કુંડા મુકવા, સ્ટ્રીટ લાઇટના થાંભલાને રંગરોગાન કરવા ધંધે લાગ્યું છે. 
વડોદરામાં પૂર પીડિતોના આંસુ લુછવાના બદલે સાહેબને ખુશ કરવા તંત્રની દોડધામ 2 - image

આ કામગીરી પીક અવર્સમાં કરવામાં આવી રહી છે. રસ્તાઓની વચ્ચે જ આડશ ઉભી કરીને મજુરો કામગીરી કરતા નજરે પડે છે. જાહેર રસ્તાઓ ઉપર કામ ચાલતુ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરો અને સુપરવાઇઝરોને હેલમેટ સહિતના સેફ્ટીના સાધનો નથી અપાયા. પીક અવર્સમાં રસ્તો રોકીને કામગીરી ચાલતી હોવાથી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જાહેર નોટિસ વગર જ આડેધડ કોઇ પણ રસ્તો બંધ કરી દેવામાં આવે છે અથવા તો ડાયવર્ઝન આપવામાં આવે છે. વડાપ્રધાન વડોદરામા માંડ બે ચાર કલાક રોકાવાના છે તેના માટે વડોદરાના લોકોને શાસકોએ ૧૫ દિવસથી બાનમાં લીધુ છે. જો કે શાસકો એક વાત ભુલી જાય છે કે કટાઇ ગયેલા ડબ્બાને રંગ કરવાથી ડબ્બો નવો ના બની જાય તેમ વડોદરાની દુર્દશા તકલાદી સુંદરતાથી ઢાંકી નહી શકાય. 


Google NewsGoogle News