કાઠિયાવાડ બાલાશ્રમમાં ત્યજી દેવાયેલી માસૂમ બાળકીનું ૫૧ દિવસ બાદ મોત
ઝનાના હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો
અજાણી વ્યક્તિ બાળકીને ઘોડિયાંમાં ત્યજી બાલાશ્રમની ઘંટડી
વગાડી જતી રહી હતી
રાજકોટ : ગોંડલ રોડ પરના કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ૫૧ દિવસ પહેલા ત્યજી દેવાયેલી બાળકીએ ઝનાના હોસ્પિટલમાં આજે સવારે દમ તોડી દીધો હતો.
બાલાશ્રમમાં ગઇ તા. ૧૭ના રોજ મોડીરાત્રે કોઇએ નવજાત બાળકીને
ઘોડિયામાં ત્યજી દઇ ઘંટડી વગાડી હતી. જેથી બાલાશ્રમનો સ્ટાફ બહાર આવતાં બે કલાક
પહેલાં જ જન્મેલી બાળકી જોવા મળી હતી. તત્કાળ તેને ઝનાના હોસ્પિટલ ખાતેની બાળકોની
હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અધૂરા માસે જન્મેલી આ બાળકીને શરૃઆતથી જ એનઆઇસીયુમાં
રાખવામાં આવી હતી.
પરંતુ તેની સારવાર કારગત નીવડી ન હતી. ૫૧ દિવસ બાદ આજે સવારે તેણે દમ તોડી દીધો હતો. ભક્તિનગર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ આગળ ધપાવી છે. બાલાશ્રમમાં એવો નિયમ રાખવામાં આવ્યો છે કે તેની બહાર મૂકવામાં આવેલા ઘોડિયા ઘરમાં જો નવજાત બાળકને ત્યજી દેવામાં આવે તો ત્યજનાર અને બાળકીની માતા વિશે કોઇ તપાસ કરવામાં આવતી નથી. તે નિયમ મુજબ આ બાળકીના કેસમાં પણ પોલીસે કોઇ તપાસ કરી ન હતી.