નર્મદા નદી ઉપર માલસર પાસે બનેલા બ્રિજનું તા.27મીએ લોકાર્પણ

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
નર્મદા નદી ઉપર માલસર પાસે બનેલા બ્રિજનું તા.27મીએ લોકાર્પણ 1 - image


- વડોદરા જિલ્લાને ભરૂચ અને નર્મદાને ટૂંકા અંતરથી જોડવા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ પર 1312 કિ.મિ. લાંબી નર્મદા નદી પર 56મો બ્રિજ બન્યો

વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર

વડોદરા જિલ્લાને બે જિલ્લા, ભરૂચ અને નર્મદાને ટૂંકા અંતરથી જોડતા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ પર નર્મદા નદી ઉપર રૂ.225 કરોડના ખર્ચથી નિર્માણ પામેલા પૂલનું આગામી તા.27 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન લોકાર્પણ થશે. આ બ્રિજ બનતા વડોદરાથી નેત્રંગ ઉપરાંત ડેડિયાપાડ, મહારાષ્ટ્ર જવા માટે 20 કિલોમિટરનું અંતર ઓછું થઇ ગયું છે. પૂલ બનવાથી બીજો મોટો લાભ એ થશે કે કપરા ચઢાણ, ડુંગરાળ વિસ્તારનો માર્ગ એક તરફ થઇ જશે.

એક રસપ્રદ વાત એ પણ છે કે, છેક મધ્યપ્રદેશના અમરકંટકથી પ્રગટી ખંભાતની ખાડીમાં સાગરને મળતા મા નર્મદાના 1312 કિલોમિટરના લાંબા પ્રવાહના ઉપરથી વાહનો પસાર કરવા માટે અત્યાર સુધી કૂલ ૫૫ બ્રિજ બનાવવામાં આવ્યા છે. તેમાં આ માલસર પાસે વડોદરા માર્ગ અને મકાન વિભાગ (ગ્રામ્ય) દ્વારા નિર્માણાધિન આ પૂલ 1312 કિલોમિટર લાંબી આ નદી ઉપર બાંધવામાં આવેલો 56મો બ્રિજ બન્યો છે. નર્મદા નદી ઉપર મહત્તમ પૂલ મધ્યપ્રદેશમાં છે. સેટેલાઇટ તસવીરોનો અભ્યાસ કરવાથી આ બાબતનો સારી રીતે ખ્યાલ આવી શકે છે.

સ્વેર ટાઇપ આ બ્રિજની માહિતી આપતા કાર્યપાલક ઇજનેર કમલેશ થોરાટે કહ્યું કે, ડભોઇ, શિનોર, માલસર અને અશા તરફના રાજમાર્ગ ઉપર નર્મદા નદી પર પીએસસી ગર્ડર ડેક પૂલ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. બ્રિજ માટે 16 પિલ્લર બનાવવામાં આવ્યા છે. 

બીજી એક રસપ્રદ વાત તો એ છે કે રૂ.225 કરોડના ખર્ચથી બનેલા આ પૂલ માટે કૂલ 12 હજાર ટન વિવિધ પ્રકારનું લોખંડ વાપરવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, બ્રિજ બનાવવા માટે 20 હજાર ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આટલી સામગ્રીથી તો ત્રણ બેડરૂમ હોલ કિચનની સુવિધાવાળા અને 7 માળના 15થી વધુ એપાર્ટમેન્ટ બની શકે ! એના ઉપરથી બ્રિજની કામગીરીનો ખ્યાલ આવી શકે છે.

કૂલ 3.5 કિલોમિટરની લંબાઇ અને 16 મિટરની પહોળાઇ ધરાવતા આ બ્રિજનો 900 મિટરનો હિસ્સો નદી ઉપરથી પસાર થયો છે.  બાકી અશા તરફ 600 મિટર અને માલસર સાઇડ 2 કિલોમિટરનો ભાગ છે. 

બ્રિજ બનતા શિનોર તાલુકાને નર્મદા જિલ્લાના નાંદોદ તથા ભરૂચ જિલ્લાના ઝગડિયા જવા માટે વીસેક કિલોમિટરનું અંતર ઓછું થશે. વડોદરાથી નેત્રંગ, ડેડિયાપાડા ઉપરાંત મહારાષ્ટ્ર બાજું જતાં વાહનવ્યવહારને સરળતા થશે. તદ્દઉપરાંત, રાજપીપળા, ડેડિયાપાડાની ઘાટીઓના ચઢાણ ચઢવામાંથી ભારે વાહનોને મુક્તિ મળશે. સમય અને ઇંધણમાં બચત થશે.


Google NewsGoogle News