વડોદરામાં તા.૧૭મીએ સાંજે પોલો ગ્રાઉન્ડ પર રાવણદહન
રાવણનું ૫૧ ફૂટ ઊંચું પૂતળું બનાવવાનું કામ ચાલુ : પૂતળાંમાં ફટાકડા ભરાશે
વડોદરા,અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્માણ પામેલા ભવ્ય રામમંદિરમાં રામ લલ્લાની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે, જેને અનુલક્ષીને શહેરના રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરામાં તા.૧૭ની સાંજે ૬ પછી પોલોગ્રાઉન્ડ ખાતે રાવણદહનનો કાર્યક્રમ ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા યોજાશે.
હાલ જીઆઇડીસીમાં રાવણનું ૫૧ ફૂટ ઊંચું પૂતળું બનાવવાનું કામ ચાલુ કરી દેવાયું છે. આગરાથી ચાર કારીગરો પૂતળું બનાવવાની કામગીરીમાં લાગી ગયા છે. વાંસ, કાગળ, સૂતળી, કાથી, સાડી વગેરેનો ઉપયોગ કરીને પૂતળું બનાવવામાં આવનાર છે. તા.૧૬ સુધીમાં પૂતળું તૈયાર થઇ ગયા બાદ તા.૧૭ની સવાર સુધીમાં પોલોગ્રાઉન્ડ ખાતે પૂતળું ઊભું કરી દેવામાં આવશે. પૂતળામાં ફટાકડા પણ ભરવામાં આવશે. પૂતળાં દહન સાથે જ આતશબાજી થશે. વડોદરામાં તા.૨૦ના રોજ બપોરે ૧ વાગે સયાજીરાવ નગરગૃહ અકોટા ખાતે રામલીલાનું મંચન કરવામાં આવશે. લોકો આ કાર્યક્રમ નિઃશુલ્ક જોઇ શકશે.