હાંસાપુરામાં હથિયારધારી ટોળાનો આતંક ઃ ચાર ઘરો પર પથ્થરમારો કરી કાચ તોડયા
જૂના ઝઘડાની અદાવત રાખી હુમલો ઃ નવ મહિલા સહિત ૨૩ હથિયારધારી શખ્સો સામે ગુનો
વડોદરા, તા.16 વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામે જૂના ઝઘડાની અદાવત રાખી હથિયારધારી ટોળાએ હુમલો કરી ચાર ઘરો પર પથ્થરમારો કરી ઘરમાં નુકસાન કર્યું હતું. આ અંગે નવ મહિલા સહિત ૨૩ સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હાંસાપુરા ગામમાં રહેતા સુરેખાબેન દેવેન્દ્રસિંહ ચૌહાણે જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૨૨ એપ્રિલ બોડિદ્રા ગામે લગ્ન હોવાથી મારા પતિ અને દિયર દેવરાજસિંહ સાંજે ગયા હતા અને પરત ઘેર આવતા હતા ત્યારે અમારા ગામમાં રહેતા નવનીતસિંહ નટવરસિંહ ચૌહાણ સાથે ઝઘડો થયો હતો. જેની ફરિયાદ મારા પતિ અને દિયર સામે થયા બાદ તેઓ ઘેર આવતાં જ નથી.
તા.૧૦ના રોજ રાત્રે હું, મારા સાસુ અને દેરાણી ઘરની બહાર બેઠા હતા ત્યારે નટવરસિંહ સોમસિંહ ચૌહાણ તેમજ તેના પરિવારજનો સહિત કુલ ૨૩ શખ્સોનું ટોળું હાથમાં તલવાર, ખંજર, પાઇપો લઇને આવ્યું હતું અને અમારા પર પથ્થરમારો શરૃ કરતાં અમે ઘરમાં જતા રહ્યા હતાં બાદમાં તેમણે અમારા ઘર પર પથ્થરો માર્યા હતાં. દરમિયાન અમારા કુંટુંબના અન્ય માણસો બચાવવા આવતાં ટોળાના માણસો જતા રહ્યા હતા પરંતુ અમારા કુંટુંબના અશ્વિનભાઇ, રંજનબેન તેમજ મારા જેઠ વિરેન્દ્રસિંહના ઘર પર પથ્થરમારો કરી કાચની બારી તોડી નાંખી હતી. દરમિયાન મેં પોલીસને ફોન કરતાં પોલીસની ગાડી આવી જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં.