'ભારતમાલા'ની નોંધ રદ નહીં કરાય તો ખેડૂતો ચૂંટણી મેદાનમાં ઉતરશે

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
'ભારતમાલા'ની નોંધ રદ નહીં કરાય તો ખેડૂતો ચૂંટણી મેદાનમાં ઉતરશે 1 - image


૫૦૦થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોનું કમલમ્ ખાતે હલ્લાબોલ

ગાંધીનગર સહિત જિલ્લાને લાગુ પડતી ત્રણ લોકસભા બેઠકમાં ખેડૂત પ્રતિનિધિઓ ઉભા રાખવાની ચિમકીઃભાજપ ઉપાધ્યક્ષને આવેદનપત્ર

ગાંધીનગર :  દિલ્હીથી મુંબઇ સ્પેશ્યલ ગ્રીન એક્સપ્રેસ હાઇવે માટે ગાંધીનગરના ચારેય તાલુકાની જમીન સંપાદિત કરવાની થાય છે. જિલ્લાના કુલ ૨૮ ગામના બેહજારથી વધુ સર્વે નંબરની જમીનો સંપાદન કરવામાં આવનાર છે જે અંતર્ગત ં સરકરા દ્વારા આઠ હજાર જેટલા ખેડૂત ખાતેદારોના ૭-૧૨માં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન કરવામાં આવનાર છે તેવી નોંધ પાડવામાં આવી છે અને ચૂંટણી પછી માપણી અને સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તે પહેલા અસરગ્રસ્ત ખેડૂતો ફરી પાછા ભેગા થયા છે અને આજે બેઠક કરીને ૫૦૦થી વધુ ખેડૂતોએ કમલમ ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો અહીં અઠવાડિયામાં આ બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવી બાંહેધરી મળતા ખેડૂતો પરત ફર્યા હતા.

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ સુધીનો એકસપ્રેસ હાઇવે બનાવવા માટે ગાંધીનગરના ખેડૂતોના ઉગ્ર વિરોધને લઇને ગાંધીનગરમાં સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઇ ન હતી ત્યારે હવે સરાકરે ૭-૧૨માં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે તે સર્વે નંબરની જમીનનું સંપાદન કરવામાં આવનાર છે તેવા લખાણ સહિતની નોંધ પાડવામાં આવી છે.જેના પગલે ખેડૂતોમાં રોષ ભભુકી રહ્યો છે. આ ઉપરાંત ભારતમાલા પ્રોજેક્ટ ખોટા વિઝીબીલીટ રિપોર્ટના આધારે તૈયાર થયો હોવાને કારણે તે રદ કરીને નવો રિપોર્ટ તૈયાર કરવા પણ વારંવાર માંગણી કરવામાં આવી હતી. તે વચ્ચે હાઇવે ઓથોરિટીએ માપણી અને સંપાદનની પ્રક્રિયા હાથ ધરી દીધી હતી પરંતુ ચૂંટણીના કારણે તે શક્ય બની નહીં આવી સ્થિતિમાં અસરગ્રસ્ત ખેડૂતો ફરી ભેગા થયા હતા. આજે છાલા ખાતે ૫૦૦થી વધુ ખેડૂતો ભેગા થયા હતા અને આ બાબતે કમલમમાં ફરી રજુઆત કરવાનું નક્કી કર્યું હતું. એટલુ જ નહીં, જો સકારાત્મક ઉત્તર કે ઉકેલ સત્વરે ન મળે તો ચૂંટણી મેદાનમાં પણ ખેડૂત પ્રતિનિધિઓને ઉભા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ સાથે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો કમલમ પહોંચી ગયા હતા અને ત્યાં ઉપાધ્યક્ષને બહાર બોલાવીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં સત્વરે ખેડૂતો પ્રત્યે હકારાત્મક નિર્ણય અને નવો રિપોર્ટ બનાવવાની માંગણી નહીં સંતોષવામાં આવે તો ફરી આંદોલન કરાશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.


Google NewsGoogle News