પરિણીતાને ત્રાસ રૃા.૧૦ લાખ લઇને આવ તેમ કહી યુવતીને ઘરમાંથી કાઢી મૂકી
કોર્ટમેરેજ કરનાર યુવતીએ પતિ અને સાસરિયા સામે નોંધાવેલી ફરિયાદ
વડોદરા, અટલાદરા વિસ્તારમાં રહેતી યુવતીએ સોસાયટીના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા બાદ પતિ અને સાસરિયાઓએ ત્રાસ ગુજારી રૃા.૧૦ લાખની માંગણી કરી યુવતીને ઘરમાંથી કાઢી મૂકતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
શહેરના અટલાદરા વિસ્તારમાં ગુણાતીતધામ સોસાયટીમાં રહેતી રીટાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સાત વર્ષ પહેલાં મારી જ સોસાયટીમાં રહેતા રણજીતસિંહ સાથે પરિચય થયા બાદ અમે બંને પ્રેમમાં પડયા હતા અને પાટણ ખાતે લગ્ન કર્યા પછી હું મારી સાસરીમાં પતિ સાથે રહેવા માટે આવી હતી. શરૃઆતમાં છ-સાત મહિના ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો પરંતુ વર્ષ-૨૦૧૯થી સાસુએ ઘરકામ અંગે મને ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું.
બાદમાં પતિ તેમજ સસરા અને નણંદ, નણદોઇએ પણ ત્રાસ આપવાનું શરૃ કર્યુ હતું આ અંગે પતિને કહેતાં તેઓ પણ ઉશ્કેરાતા અને મને મારઝૂડ શરૃ કરી દીધી હતી. આઠ મહિના પહેલાં પતિએ મને રૃા.૧૦ લાખ લાવ તો જ હું તને રાખીશ નહીં તો તને હેરાન પરેશાન કરી જીવવા નહી દઉ તેમ કહી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગે પરિણીતાએ પતિ રણજીતસિંહ, સાસુ તેજાબેન, સસરા અભેસિંહ, નણંદ રેખાબેન અને નણદોઇ ધર્મેશ સામે ફરિયાદ નોંધાવતા માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.