ત્રણ માસના લગ્નનો કરૃણ અંત પરસ્ત્રીના કારણે રાત્રે ઝઘડો થતાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરી

રાત્રે ત્રણ વાગે પત્નીને મોતે ઘાટ ઉતારી પતિ શાંતિથી ઊંઘી ગયો ઃ સવારે હત્યાના બનાવની જાણ થતાં ચકચાર

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
ત્રણ માસના લગ્નનો કરૃણ અંત  પરસ્ત્રીના કારણે રાત્રે ઝઘડો થતાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરી 1 - image

જરોદ તા.૨૭ વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામે લગ્નના માત્ર ત્રણ માસના ટૂંકાગાળામાં પતિએ પત્નીને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.  પતિના અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધની જાણ થતાં દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના બાદરજીમુવાડા ગામમાં રહેતા દેવુસિંહ શિવસિંહ રાઠોડની પાંચ પુત્રીઓ પૈકી સૌથી નાની ૨૧ વર્ષની પુત્રી સ્નેહાના લગ્ન હાંસાપુરા ગામમાં રહેતા રઘુવીરસિંહ વિજયસિંહ ચૌહાણ સાથે એપ્રિલ માસમાં થયા  હતાં. ગઇરાત્રે રઘુવીરસિંહ અને પત્ની સ્નેહા સાથે ઝઘડો થયો હતો. બાદમાં ઉશ્કેરાયેલા રઘુવીરસિંહ સ્નેહાને ઘરની બાજુમા આવેલ નવેરા નજીક લઈ જઈ બળજબરી કરી સ્નેહાના જમણા ગાલ ઉપર નખ મારી ઉઝરડો કર્યો હતો. ત્યારબાદ સ્નેહાના ગળાની ડાબી બાજુ ઉપરાઉપરી ચપ્પા જેવા તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું.

પત્નીની હત્યા કર્યા બાદ રઘુવીરસિંહ ખાટલામાં જઇને ઊંઘી ગયો હતો. વહેલી સવારે સ્નેહાની સાસુ ઊંઘમાંથી જાગીને બાથરૃમ તરફ ગઇ ત્યારે સ્નેહાની લાશ જોતા તેમણે બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતાં. દરમિયાન આ ઘટનાની જાણ સ્નેહાના પિતાને થતાં તેઓ પણ પોતાના વતનમાંથી હાંસાપુરા ગામે દોડી આવ્યા હતાં. તેમણે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા જમાઇના હાંસાપુરા ગામમાં રહેતી અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હતો આ સંબંધની જાણ મારી પુત્રીને થઇ હતી. જેની શંકા રાખી બંને વચ્ચે રાત્રે બોલાચાલી થયા  બાદ જમાઇએ મારી પુત્રીની હત્યા કરી હતી.

હત્યાના બનાવને પગલે ઉચ્ચે પોલીસ અધિકારીઓ હાંસાપુરા ગામે દોડી આવ્યા  હતાં અને રઘુવીરસિંહને ઝડપી પાડયો  હતો. સ્નેહાની લાશનું પોસ્ટમોર્ટમ થયા બાદ તેના મૃતદેહને સાબરકાંઠા ખાતે વતનમાં લઇ જવાયો હતો.




Google NewsGoogle News