પ્રેમિકાને પતિ ઘેર લઇ આવ્યો ત્રાસથી કંટાળી પત્નીનો આપઘાત

પતિનો ત્રાસ અસહ્ય થઇ જતા પત્નીએ તળાવ કિનારે ઝાડ પર ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
પ્રેમિકાને પતિ ઘેર લઇ આવ્યો ત્રાસથી કંટાળી પત્નીનો આપઘાત 1 - image

વડોદરા, તા.12 સાવલી તાલુકાના મોટીભાડોલ ગામે પત્ની  હયાત હોવા છતાં પ્રેમિકાને ઘેર લાવતા પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થતા હતાં. પતિના ત્રાસથી કંટાળીને આખરે પત્નીએ ગામની સીમમાં તળાવ પાસે ઝાડ પર લટકી ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું  હતું.

ઉલ્લેખનીય છે કે મોટીભાડોલ ગામમાં રહેતી ૨૭ વર્ષની પરિણીતા લક્ષ્મીએ ગઇકાલે બપોરે ઘેરથી નીકળી ગામની સીમમાં જઇને તળાવ કિનારે એક ઝાડ પર પોતાની ઓઢણીથી ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે સાવલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ  હાથ ધરી હતી. પુત્રીના આપઘાતની જાણ થતાં તેના પિતા જુવાનસિંગ માનજીભાઇ ભુરીયા (રહે.ખલાતાગરાબ, તા.ધાનપુર, જિલ્લો દાહોદ) સંબંધીઓ સાથે મોટીભાડોલ દોડી આવ્યા હતાં.

પુત્રીના મોત માટે જમાઇ પ્રવિણ ગુરસિંહ વાખળા જવાબદાર હોવા અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે મારી પુત્રીના લગ્ન બાદ જમાઇ સારી રીતે રાખતો હતો અને સાત વર્ષનો એક પુત્ર છે. ત્રણ વર્ષ પહેલાં પુત્રી ઘેર આવતી ત્યારે તે કહેતી હતી કે તમારા જમાઇને આપણા ફળિયામાં રહેતી સરમાબેન સાથે અફેર છે અને તેને ઘરમાં લાવવા માંગે છે અને તે કારણથી મને હેરાન કરી મારઝૂડ કરે છે.

૧૦ દિવસ પહેલાં પુત્રી બીમાર હોવાથી તે મારા ઘેર આવી હતી ત્યારે જમાઇ સરમાને મોટીભાડોલ લઇ ગયો હતો અને ઘરમાં પત્નીની જેમ રાખવાનુ શરૃ કર્યું હતું. મારી પુત્રી તેના ઘેર ગઇ ત્યારે પણ સરમા ઘરમાં જ રહેતી હતી અને આ અંગે વારંવાર જમાઇ સાથે ઝઘડા થતાં હતાં અને તેના ત્રાસથી કંટાળીને મારી પુત્રીએ આત્મહત્યા કરી હતી.




Google NewsGoogle News