પત્નીના આડા સંબંધથી ત્રાસીને પતિએ નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
image : Pixabay
વડોદરા,તા.9 ઓક્ટોબર 2023,સોમવાર
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વચ્છેસરની નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પત્નીના આડા સંબંધને કારણે તેણે પાણીમાં ઝંપલાવીને મોતને વહાલુ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
ડેસર તાલુકાના વચ્છેસરની નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ડેસર પોલીસે મૃતદેહનો કબજે લીધો હતો. તપાસ બાદ મૃતક તાલુકાના નવા સિહોરા ગામનો પિયુષ ગણપત વણકર હોવાનું જાણવા મળ્યું હતું. પિયુષ છઠ્ઠી તારીખે ઘરેથી કોઈને પણ ગયા વગર રિક્ષા લઈને નીકળી ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ પિયુષની પત્નીને કોઈ સાથે આડા સંબંધ હોવાની જાણ થતા ઝઘડો થયો હતો. તેને કારણે તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં મનાઈ રહ્યું છે.
સેવાસી તળાવ નજીક યુવકનો મૃતદેહ મળ્યો
વડોદરા નજીકના સેવાસી તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કુદરતી રીતે તેનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. સેવાસી ગામના પીપળા ગેટ ફળિયામાં રહેતા વેપારી તેજસ પટેલે તાલુકા પોલીસને જાણ કરી હતી કે સેવાસી હનુમાન મંદિર પાછળ તળાવના કિનારે પાણીની ટાંકી નજીક 50 વર્ષની ઉંમરના યુવક બેહોશ પડ્યો છે. ઘટના સ્થળ પર જઈ પોલીસે અજાણ્યા યુવકને 108 ની મદદથી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તપાસમાં 50 વર્ષના નટુ નાયક હોવાનું જાણવા મળ્યું હતું. તાલુકા પોલીસના જણાવ્યા મુજબ ફરજ પરના તબીબે તેનું અજાણી બીમારીને કારણે મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.