સમાધાન કરીને પત્નીને તેડીને લાવ્યા પછી પણ પતિ દ્વારા ત્રાસ
ઘર ખર્ચ માટે રૃપિયા માંગે તો પણ પતિ આપતો નહતો
વડોદરા,પરિણીતાને મારઝૂડ કરતા પતિ અને સાસુ સામે મહિલા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માંજલપુર વિસ્તારમાં રહેતી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન ૨૨ વર્ષ પહેલા જયેશ પુરસોત્તમભાઇ પટેલ (રહે. નારિયાની ખડકી, સંગમ સ્ટુડિયોની બાજુમાં, રાજમહેલ રોડ) સાથે થયા હતા. લગ્ન પછી પતિ અને સાસુ સાથે સાસરીમાં રહેવા માટે ગઇ હતી. લગ્નના એક વર્ષ સુધી અમારૃં લગ્ન જીવન સારી રીતે ચાલ્યું હતું. મારા સાસુ નાની બાબતોમાં મારી સાથે ઝઘડા કરતા હતા. હું આ અંગે મારા પતિને કહેતી તો તેઓ પણ મારી સાથે ઝઘડો કરતા હતા. હું મારા પતિ પાસે ઘર ખર્ચના રૃપિયા માંગુ તો તેઓ મને રૃપિયા આપતા નહી આપી મારઝૂડ કરતા હતા. ઘરકામ બાબતે ઝઘડો થતા મારા પતિએ મને ખૂબ માર માર્યો હતો. જેથી, હું મારા પુત્રને લઇને પિયરમાં માંજલપુર જતી રહી હતી. ત્યારબાદ સમાજના વડીલોએ સમાધાન કરાવતા હું સાસરીમાં રહેવા માટે ગઇ હતી. ગત તા. ૮ મી એ મારા પતિએ મને મારતા હું મારા સાસુને કહેવા માટે ગઇ હતી. મારા સાસુએ પણ મને ઘરની બહાર નીકળી જવા કહી લાફા માર્યા હતા. જેથી, હું મારા પિયરમાં રહેવા માટે જતી રહી હતી.