ગાંધીનગર 'મેટ્રો' બન્યુંઃઅમદાવાદ સાથે અંતે નવી કનેક્ટીવીટીથી જોડાયું

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ગાંધીનગર 'મેટ્રો' બન્યુંઃઅમદાવાદ સાથે અંતે નવી કનેક્ટીવીટીથી જોડાયું 1 - image


અમદાવાદના માર્ગો ઉપરનો ટ્રાફિક હળવો  થશેઃસવારે સાત વાગ્યાથી રેલ દોડશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો રેલમાં સેક્ટર-૧થી ગિફ્ટસિટી સુધીની મુસાફરી કરી સેવા, સલામતી, ભાડું, સુવિધા, વ્યવસ્થા તેમજ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી મેળવી

ગાંધીનગર :  ભારતના વડાપ્રધાનના હસ્તે આજે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ- ૨ ( મોટેરા- ગાંધીનગર) નો આરંભ કરાવ્યો હતો. મેટ્રો રેલના આરંભ બાદ વડાપ્રધાનેે સેકટર- ૧ સ્ટેશનથી ગીફટ સીટી સુધી મેટ્રો રેલમાં મુસાફરી કરી હતી. વડાપ્રધાને વિવિધ સ્ટેશન ખાતે નાગરિકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.

ભારતના વડાપ્રઘાન  નરેન્દ્રભાઇ મોદી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ચોથા વૈશ્વિક નવીકરણીય સંમેલન અને એક્સ્પો થ રી ઇન્વેસ્ટ નો મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ આજે બપોરના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ- ૨ એટલે કે મોટેરા થી ગાંધીનગર સુધીના મેટ્રો રેલનો આરંભ કરાવામાં આવ્યો હતો. વડાપ્રધાનેે સેકટર- ૧ ખાતે આવેલા મેટ્રો રેલના સ્ટેશન ખાતે મેટ્રો રેલનો આરંભ કરાવવા પહોંચ્યા હતા. તે સમયે સ્થાનિક નગરજનો દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે ઉમટી પડયા હતા. દેશના વડાપ્રધાનનું સ્વાગત ઢોલ, નગારા, ત્રાંસ્વ, ઘંટારવ ગુંજારવથી સેકટર- ૧ ના મેટ્રો રેલ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું. મોટેરા થી ગાંધીનગરના ફેઝ- ૨ મેટ્રો રેલનો આરંભ કરાવતાં પહેલા વડાપ્રધાને રેલ સ્ટેશનની મુલાકાત લીઘી હતી. તેની સુવિધાઓ સહિત અન્ય વિસ્તૃત માહિતી મેળવી હતી. મેટ્રો રેલનો આરંભ કરાવ્યા બાદ તેમણે મેટ્રો રેલમાં બેસીને મુસાફરી કરી હતી. વડાપ્રધાન  સાથે મેટ્રો રેલની મુસાફરીમાં ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી સહિત સ્થાનિક ધારાસભ્યો અને અન્ય મહાનુભાવો તથા અધિકારીઓ જોડાયા હતા. આ મેટ્રો રેલની મુસાફરી દરમિયાન વડાપ્રઘાનએ તેમની મુસાફરીમાં સહભાગી બનેલા શાળા-કોલેજના અગિયાર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

મેટ્રો સ્ટેશન સુધી રિક્ષા-સિટી બસનું નેટવર્ક જોડવું જોઇએ

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે આખરે મેટ્રો રેલ શરૃ થઇ ગઇ છે ત્યારે મેટ્રો સ્ટેશનથી ૩૫થી ૪૦ રૃપિયામાં અમદાવાદના વસ્ત્રાલ સ્ટેશન સુધી મેટ્રો રેલમાં એસીમાં બેસાડીને લઇ જવાશે પરંતુ અહીં સે-૧, ઇન્ફોસિટી, રાંદેસણ, પીડીઇયુ, ગિફ્ટસિટી સહિતના મેટ્રો સ્ટેશન સુધી રહિશો-મુસાફરોને જવું હોય તો ત્યા સુધી રિક્ષા કે સિટી બસ સર્વિસ નથી.જેના કારણે મુસાફરને મુકવા માટે અન્ય કોઇ વાહન-વ્યક્તિનો સહારો લેવો પડે છે અથવા તો વધુ રૃપિયા આપીને કેબ કે રિક્ષામાં જવુ પડે છે. આવી સ્થિતિ વચ્ચે સમેળભર્યા રૃટ-કનેક્ટીવીટીને જાળવી રાખવી હોય તો સિટી બસ સર્વિસ પણ મેટ્રોના રૃટ-ટાઇમીંગ પ્રમાણે જે તે સ્ટેશન સુધીની ગોઠવીને મુસાફરોને વધુ સરળીકરણ કરી શકાય તેવી પણ માંગણી ઉઠી છે.

અપડાઉન કરતા નોકરિયાત તથા વિદ્યાર્થીઓની તકલીફ દૂર થશે

ઘણા વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તે સ્વપ્ન આજે સાકાર થશે.પીડીઇયુની વિદ્યાર્થિની વોલસી ચૌધરીએ જણાવ્યું હતું કેપ્રધાનમંત્રી દ્વારા મેટ્રોના લોકાર્પણ પ્રસંગે એક વિદ્યાર્થી તરીકે હાજર રહેવાની જે તક મળી છે તે અમારું સૌભાગ્ય છે. સામાન્ય નાગરિકો પણ હવે એ.સી વાળી અને એમાં પણ નજીવા ભાડાથી ચાલતી ટ્રેનમાં બેસી શાંતિની સફર માણી શકશે અપડાઉન કરતા નોકરીયાત, વિદ્યાર્થીઓ વગેરેની રોજિંદી પરિવહનની તકલીફો મેટ્રો દ્વારા દૂર કરી દીધી. 


Google NewsGoogle News