પોલેન્ડ મોકલવાના નામે બિહારના ચાર શ્રમજીવીઓને ટ્રાવેલ એજન્ટે ચૂનો ચોપડયો
રૃપિયા પડાવી લીધા બાદ વિદેશ ના મોકલ્યા અને મોબાઇલ-ઓફિસ બંધ કરી દીધા
વડોદરાઃ અલકાપુરી વિસ્તારના ટ્રાવેલ એજન્ટે બિહારના ચાર શ્રમજીવીને વિદેશ મોકલવાના નામે છેતરી લીધા હોવાનો બનાવ બનતાં પોલીસે ટ્રાવેલ એજન્ટ સામે ગુનો નોંધ્યો છે.
સયાજીગંજના કડકબજાર વિસ્તારમાં રહેતા બિહારના ભરત શર્માએ પોલીસને કહ્યું છે કે,હું તેમજ મારી સાથે રહેતા સદ્દામહુસેન, નાહિદ અનવર અને નુરૃલ્લાહ અંસારી પાઇપ ફિટિંગ તેમજ બીજા મજૂરી કામ કરીએ છીએ.
જૂન મહિનામાં અમે એક પેમ્પલેટ દ્વારા ઓક્યુફોર્જ કન્સલટન્ટ(શ્રમશાલીન મોલ, અલકાપુરી)ના નામની જાહેરાત જોઇ હતી. જેમાં પોલેન્ડ જવા માટે ઓફર મૂકવામાં આવી હતી.અમે એક વાર વિદેશ જઇને આવ્યા હોવાથી પોલેન્ડ જવા માટે ટ્રાવેલ એજન્ટને મળવા માટે ગયા હતા.જ્યાં અમારી વાત રુહુલ ફિરોજ ખત્રી (રામ પાર્ક સોસાયટી, આજવા રોડ) અને રાજુ સાહેબ સાથે થઇ હતી.
ભરત શર્માએ કહ્યું છે કે,અમને રૃ.૧.૮૫લાખના પેકેજની ઓફર કરાઇ હતી.જેમાં જતા પહેલાં રૃ.૮૫ હજાર અને ત્યારબાદ બાકીના પેમેન્ટની વાત હતી.અમે તૈયારી બતાવતાં પ્રોસિજર માટે દરેક પાસે રૃ.૭૧ હજાર લેખે ચાર જણા પાસે કુલ રૃ.૨.૮૪ લાખ લેવામાં આવ્યા હતા.પરંતુ ત્યારબાદ અમને વિદેશ મોકલવામાં આવ્યા નથી કે રૃપિયા પણ આપ્યા નથી.તપાસ કરતાં બંને સંચાલકના ફોન બંધ આવે છે અને ઓફિસ પણ બંધ કરી દીધી હોવાનું જણાઇ આવ્યું છે.