મંદિરના પૂજારી પાસેથી ટ્રક વેચાતી લઇ રૃપિયા નહી આપી છેતરપિંડી
આરોપીઓએ ટ્રક પણ સગેવગે કરી દીધી અને ફાયનાન્સ કંપનીના હપ્તા પણ ના ભર્યા
વડોદરા,મંદિરના પૂજારી પાસેથી ટ્રક વેચાણ કરવાના બહાને લઇ જઇ છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓ સામે વાડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડભોઇ રોડની શ્રમજીવી સોસાયટીમાં રહેતો શૈલેષગીરી રમેશગીરી ગોસાંઇ કપુરાઇ બ્રિજ પાસે પાણીગેટ ચેક પોસ્ટની બાજુમાં આવેલા હનુમાનજીના મંદિરે પૂજારી તરીકે કામ કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારે રૃપિયાની જરૃર ઉભી થતા મેં એક ટ્રક વેચવા કાઢ્યો હતો. એક દલાલ ચંદુભાઇ રાણા ( રહે. સાવલી) નો સંપર્ક થતા મેં તેઓને વાત કરી હતી. ચંદુભાઇએ વચ્ચે રહીને આણંદના રિઝવાન વોરા સાથે અમારી મુલાકાત કરાવી હતી. રિઝવાન સાથે ૭.૬૫ લાખમાં ગાડી વેચવાનું નક્કી કર્યુ હતું. જે પૈકી રિઝવાને બાના પેટે મને ૨૦ હજાર આપ્યા હતા. તેમજ બાકી રહેતા ૭.૪૫ લાખ ફાયનાન્સ કંપનીની લોન ભરપાઇ કરવાની પણ જવાબદારી તેણે લીધી હતી. ત્યારબાદ રિઝવાને આ ટ્રક સફી મોહંમદ સાબુરભાઇ વોરા ( રહે. રહીમા નગર, ભાલેજ રોડ, આણંદ) ને વેચી દીધી હતી. આ કરાર એપ્રિલ - ૨૦૨૨ માં કરાવ્યો હતો. ત્યારબાદ ફાયનાન્સ કંપનીમાં પણ તેણે રૃપિયા ભર્યા નહતા. જેથી, કંપનીના માણસો મારા પાસે ઉઘરાણી કરતા હતા. રિઝવાનને બાનાના રૃપિયા પરત આપવાનું કહેતા મેં ગૂગલ પેથી રૃપિયા ૨૦ હજાર પણ પરત કરી દીધા હતા. તેમછતાંય આરોપી મારી ટ્રક પરત આપતો નથી.