વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂરથી કાંઠા વિસ્તારની અનેક સ્થાવર મિલકતોમાં મોટી તિરાડો પડી

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂરથી કાંઠા વિસ્તારની અનેક સ્થાવર મિલકતોમાં મોટી તિરાડો પડી 1 - image


Vadodara Flooding : વડોદરા શહેરમાં છેલ્લા બે મહિના દરમિયાન વિશ્વામિત્રી નદીમાં આવેલા કથિત માનવસર્જિત પૂરના કારણે તમામ કાંઠા વિસ્તારના રહેણાંક મકાનો, ઓફિસો ગોડાઉનો સહિતની સ્થાવર મિલકતોમાં મસમોટી તિરાડો ઠેક ઠેકાણે પડી ગઈ છે. પરિણામે આવી ભયગ્રસ્ત સ્થાવર મિલકત ઉપયોગમાં રહેવા લાયક રહી નથી. છતાં જીવના જોખમે મિલકતદારો ઉપયોગ કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે શહેરની વિશ્વામિત્રી નદીમાં છેલ્લા બે મહિના દરમિયાન ભારે વરસાદના કારણે બે વાર પૂરના પાણી શહેરમાં ફરી વળ્યા હતા. જોકે તંત્રના પદાધિકારીઓની અણ આવડત ના કારણે શહેર પૂરગ્રસ્ત બન્યું હોવાની ફરિયાદ આમ જનતા કરી રહી છે. શહેરમાં પૂરના પાણીથી કોઈપણ વિસ્તાર બાકાત રહ્યો નથી. જ્યારે બીજી બાજુ વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારના અનેક કાચા ઝુંપડા તો પૂરમાં તણાઈ ગયા છે પરંતુ પાકા મકાનોને પણ પૂરના પાણીની થપાટો સતત વાગતી રહી હતી. પરિણામે નદીકાંઠાના આવા તમામ પાકા રહેણાંક મકાનો, દુકાનો, ગોડાઉનો, કે પછી ઓફિસોમાં અનેક નાની-મોટી તિરાડો પડી ગઈ છે. કેટલીક જગ્યાએ પડેલી મોટી તિરાડોના કારણે આવી સ્થાવર મિલકતો હવે રહેવા લાયક પણ રહી નથી તેવી ફરિયાદો મિલકત માલિકો કરી રહ્યા છે. આવી અનેક મિલકતોની દિવાલોમાં પડેલી તિરાડોના કારણે આગળ પાછળની રીતે દીવાલમાં રીતસર બે ભાગ પડી ગયા છે. આ ઉપરાંત સ્લેબમાં પણ તિરાડો પડી જવાના કારણે ટાવર મિલકતનો કેટલોક ભાગ લેવલથી નીચે ઉતરી ગયો છે. આવી જ રીતે ઉપર છતમાં પણ બસ મોટી તિરાડો પડી ગઈ છે. જોકે આવી ક્ષતિગ્રસ્ત સ્થાવર મિલકતોને માલિકો જીવના જોખમે ઉપયોગમાં લેવા મજબૂર બન્યા છે. વહીવટી તંત્ર આવી કાંઠા વિસ્તારની ક્ષતિગ્રસ્ત સ્થાવર મિલકતો અંગે સર્વે કરાવે તો  નુકસાનનો આંકડો ખૂબ મોટો અચૂક જોવા મળશે.


Google NewsGoogle News