ડાકોરમાં યાત્રાળુંઓ માટે શુદ્ધ પીવાના પાણી માટે પાંચ 'વોટર એટીએમ 'મુકાયા
ફાગણી પૂનમને લઇને પાણીની સુવિધા ઉભી કરાઇ
૧ થી ૧૦ રૂપિયામાં આરઓનું ૨૦ લીટર ઠંડું પાણી મળી રહેશે
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં પાલિકાતંત્ર દ્વારા યાત્રાળુંઓની સુવિધા માટે આરઓનું શુદ્ધ પીવાના 'પાણીના એટીએમ' મુકવામાં આવ્યા છે. ગોમતીઘાટ, મંદિરના મુખ્ય દરવાજે, પુરૂષોત્તમ ભુવન, એસટી ડેપો અને પાલિકાના મોટા પાર્કિંગમાં પીવાના પાણીના આ મશીનો મુકવામાં આવ્યા છે. એક રૂપિયાથી લઇ ૧૦ રૂપિયા પાણી મળી રહેશે.
આગામી ફાગણી પૂનમને ધ્યાને લઇને આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગુરૂવારે ઠાસરાના ધારાસભ્ય, ચીફ ઓફિસર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ કરાયું હતું. ૫.૯૫ લાખના ખર્ચે એક એવા કુલ પાંચ મશીનો મુકવામાં આવ્યા છે. પાલિકા દ્વારા' શ્રીકૃષ્ણ ધરા'નામથી આ પીવાના પાણીના મશીનો મુકાયા છે. એક રૂપિયામાં ૨૦૦ મિ.લી., બે રૂપિયામાં એક લીટર, પાંચ રૂપિયામાં દશ લીટર અને દશ રૂપિયામાં ૨૦ લીટર પાણી મળશે.
મશીનમાં રૂપિયાના સિક્કા નાંખી, ક્યુઆરકોડના માધ્યમથી પાણી મેળવી શકાશે. વધુ પાણીની જરૂરિયાત હશે તો પાલિકામાંથી કાર્ડ પણ કાઢી અપાશે. અલગ વ્યવસ્થાના ભાગરૂપે પાણીનો જગ કે ગઢો મુકીને પણ આરઓનું શુદ્ધ પાણી મેળવી શકાશે. આ મશીન પર ૭૫૦ લીટરની પાણીની ટાંકી મુકવામાં આવી છે.