વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસરતા પાંચ મૃતદેહ મળ્યા

ખિસકોલી સર્કલ પાસે દૂધ, શાકભાજી લેવા માટે ગયા અને પૂરના પાણીમાં ડૂબી ગયા

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસરતા પાંચ  મૃતદેહ મળ્યા 1 - image

વડોદરા,શહેરમાં પૂરના પાણી ઓસરતા હવે લાશો મળી રહી છે. ગઇકાલે તરસાલી અને હરણી સમા લિંક રોડ પરથી બે મૃતદેહો મળ્યા હતા. આજે વધુ પાંચ  મૃતદેહ શહેરના અલગ - અલગ વિસ્તારોમાંથી મળી આવ્યા છે.

જન્માષ્ટમીના દિવસથી શરૃ થયેલા વરસાદના કારણે જળબંબાકાર સર્જાયો હતો. ત્યારબાદ વિશ્વામિત્રી નદીના પૂરે વડોદરાને ઘમરોળ્યું હતું. જ્યાં અગાઉ ક્યારેય પાણી ભરાયા નહતા. તેવા વિસ્તારોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઇ ગયા હતા. પૂર અને વરસાદના પાણી ઉતર્યા પછી હવે મૃતદેહો મળી આવે છે. ગઇકાલે તરસાલી વુડાના મકાનની  પાછળથી તથા હરણી સમા લિંક રોડ પરથી બે મૃતદેહો મળી આવ્યા હતા. ત્યારબાદ આજે જૂની ફાસ્ટટ્રેક કોર્ટ અને હાલમાં ચેરિટી કમિશનરની કચેરી છે. ત્યાં જવાના રોડ પરથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. જે અંગે રાવપુરા પોલીસને જાણ કરવામાં આવતા  પોલીસે સ્થળ પર જઇને મૃતદેહ પી.એમ. માટે મોકલી આપ્યો છે. રાવપુરા પોલીસે મૃતકની ઓળખ માટે તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં ખિસકોલી સર્કલ પાસે નિલકંઠ નગરમાં રહેતા અનિલ રણછોડભાઇ પઢિયાર તથા મનોજ ભરતભાઇ બારિયા શાકભાજી અને દૂધ લેવા માટે નીકળ્યા હતા. આજે તેઓના મૃતદેહ ખિસકોલી સર્કલ પાસેથી મળી આવ્યા હતા. જે અંગે અટલાદરા  પોલીસે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે. અન્ય એક મૃતદેહ ખાસવાડી સ્મશાનની પાછળથી તથા અકોટા નજીકથી મળી આવ્યા હતા. તેઓની ઓળખ કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News